દર્શનીય સ્થાન પરિચય

પીપળીધામના પવિત્ર અને દર્શનીય સ્થળોનો સંક્ષિપ્ત પરિચય.

ધોરીમાર્ગ પર પ્રવેશદ્વાર

ધોરીમાર્ગ પર પ્રવેશદ્વાર

પીપળીધામ માલવણ ચોકડીથી ૭ કિલોમીટર દૂર આવેલું છે. માલવણથી ધ્રાંગધ્રાના હાઈવે પર અખિયાણા ગામથી ૩ કિલોમીટર દૂર અંદરના ભાગે આવેલું છે. અહીં હાઈવે પાસે ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ હસ્તક કલાત્મક વિશાળ પ્રવેશદ્વાર બન્યું છે. આ પ્રવેશદ્વારમાં થઈને પીપળીધામમાં પ્રવેશ પમાય છે. આ પ્રવેશદ્વાર પર હનુમાનજી મહારાજ અને બે હાથીની મૂર્તિ ધ્યાન આકર્ષક છે. હાઈવે પરથી અહીંના બાવનગજના દેવળના દર્શન થાય છે.

જગ્યાનું પ્રવેશદ્વાર

જગ્યાનું પ્રવેશદ્વાર

વિક્રમ સંવત ૨૦૪૧ ના ભાદરવા સુદ ૫ ને દિવસે (ઈ.સ. ૧૯૮૫) “શ્રી રામદેવ પીર મંદિર - શ્રી સવા ભગતની જગ્યા” ના આ મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક થયું. આ પ્રવેશદ્વારની બહારની બાજુએ તલવાર અને ઢાલ સાથે બે દ્વારપાળ નજરે પડે છે. આ મુખ્ય પ્રવેશદ્વાર પર અહીંની ત્રણ ધારાના સંકેત રૂપ લાલ, લીલો અને સફેદ રંગનો ત્રિરંગો ધ્વજ લહેરાઈ રહ્યો છે. આ પ્રવેશદ્વાર ચોવીસે કલાક ખુલ્લું રહે છે.

શ્રી દ્વારકાધીશ રામદેવ પીર મંદિર

શ્રી દ્વારકાધીશ રામદેવ પીર મંદિર

વિક્રમ સંવત ૧૯૭૨ માં વૈશાખ સુદ ૧૧ના રોજ બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ હસ્તક બનેલ શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં દ્વારકાધીશના દર્શન થાય છે. મૂર્તિમાં રાધા-કૃષ્ણ બીરાજમાન છે. આ મંદિરમાં શક્તિ અને શ્રી રામદેવજી મહારાજને બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ હસ્તક ગેબી સ્થાન અપાયા છે.

ફૂલ સમાધિ

ફૂલ સમાધિ

પ્રસ્તુત તસ્વીરમાં ત્રણ સંયુક્ત સમાધિના દર્શન થાય છે. સંયુક્ત સમાધિમાં વચ્ચે બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ, તેમની જમણી તરફ શ્રી ઝબુબાઈ અને ડાબી તરફ શ્રી જમનામાની સમાધિ છે. શ્રી ઝબુબાઈ વિ.સં. ૧૯૯૮ ના અધિક અષાઢ વદ અમાસના દિવસે, શ્રી જમનામા વિ.સં. ૨૦૦૪ ના ભાદરવા સુદ ૧૧ ના દિવસે અને શ્રી સવારામ સાહેબ વિ.સં. ૨૦૧૭ ના વૈશાખ વદ ૧૧ ને બુધવારના રોજ સત્લોક સીધાવેલા.

ફૂલ સમાધિ

ફૂલ સમાધિ

પ્રસ્તુત તસ્વીર સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજની છે. તેઓશ્રી પોતાની અવતારી કાર્યવાહી સફળ બનાવી વિ.સં. ૨૦૫૯ ના માગશર સુદ ૧૩ ને મંગળવાર તા. ૧૭-૧૨-૨૦૦૨ ના રોજ પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી સત્લોક સીધાવેલા. તેઓશ્રીની આ સમાધિ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ હસ્તક બની છે.

પીરગાદી અને ગુરુગાદી

પીરગાદી અને ગુરુગાદી

શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં બે ગાદી આવેલી છે. એક ગુરુગાદી અને બીજી પીરગાદી છે. સામાન્ય દિવસોમાં ગુરુદેવ ગુરુગાદી પર બીરાજે છે અને મહત્ત્વના પ્રસંગોએ પૂજન સમયે પીરગાદી પર બીરાજે છે.

વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજ

વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજ

શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં સૌ દેવોમાં જેની સેવા આદિ છે અને રિદ્ધિ સિદ્ધિના દાતા છે એવા ઉમૈયાસુત સદા આનંદકારી ગણપતિ મહારાજના દર્શન થાય છે.

પવનસુત શ્રી હનુમાનજી મહારાજ

પવનસુત શ્રી હનુમાનજી મહારાજ

શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં અંજનીપુત્ર, રામભક્ત એવા શ્રી હનુમાનજી મહારાજના દર્શન થાય છે.

સત્ કબીર સાહેબ

સત્ કબીર સાહેબ

કાશીના લહરતારા સરોવરમાં કમલપુષ્પ પર પ્રગટેલ કબીર સાહેબ કચોલીયા ગામે હંસદાસ સ્વરૂપે પધારી શ્રી સવારામ બાપાને સાહેબ ઘરનો અમૂલ્ય ભેદ - અમર ભેદ શાન દ્વારા બક્ષિસ કરીને સાહેબનું સ્વરૂપ બનાવેલા. વિ.સં. ૧૯૬૮ માં આ ઘટના બનેલી. એ કબીર સાહેબનું સ્થાન અહીં શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબની સમાધિની બીલકુલ સામે આવેલ છે.

પીરાણાનો સ્તંભ

પીરાણાનો સ્તંભ

વિ.સં. ૧૯૭૨ માં શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિરના ઈશાન ખૂણામાં પીરાણાના સ્તંભનું રોપણ કરીને ઉપર લીલો નેજો ફરકાવવામાં આવેલો છે. તેની સ્થાપના બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ હસ્તક થયેલી છે.

શ્રી સદ્‌ગુરુ સવારામ આશ્રમ

શ્રી સદ્‌ગુરુ સવારામ આશ્રમ

શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિરની ઓસરીમાં સામે ‘શ્રી સદ્‌ગુરુ સવારામ આશ્રમ’ આવેલો છે. આ આશ્રમમાં બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુશ્રી સવારામ સાહેબના ફોટાને સ્થાન આપવામાં આવેલું છે. એ સ્થાન ગેબી પુરુષનું છે.

વીર તથા સાખીયા

વીર તથા સાખીયા

સત્ય સનાતન ધર્મમાં ગતની ગોવાણી કરનાર વીરને અહીં પ્રાંગણમાં એક નાના સ્તંભ પર ઘોડેસ્વારના રૂપમાં સ્થાન અપાયું છે. સત્ય સનાતન ધર્મમાં ગતની ગોવાણી કરનાર સાખીયાને અહીં પ્રાંગણમાં એક નાના સ્તંભ ઉપર સ્વસ્તીકના પ્રતિક દ્વારા સ્થાન અપાયું છે.

શ્રી નકલંક ભગવાન

શ્રી નકલંક ભગવાન

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા વિક્રમ સંવત ૨૦૪૬ ના ભાદરવા સુદ ૯ ને બુધવાર તા. ૨૯-૮-૧૯૯૦ ના રોજ અહીં શ્રી નકલંક આશ્રમનું નિર્માણ થયું છે. આ આશ્રમમાં સવા દશ ફૂટની ઊંચાઈવાળા દેવળમાં શ્રી નકલંક ભગવાનનું સ્થાન આવેલું છે. તેમાં શ્રી નકલંક ભગવાનના ઘોડાની સ્થાપના કરવામાં આવી છે કે જેમનું મુખ ઉત્તર દિશામાં છે. ત્યારબાદ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજે આ આશ્રમને વિસ્તારી ખૂબ સુંદર અને સુવિધાયુક્ત બનાવ્યો છે.

શ્રી શેષનારાયણ ભગવાન

શ્રી શેષનારાયણ ભગવાન

શ્રી રામદેવપીર મંદિરના વિશાળ પ્રાંગણમાં શ્રી શેષનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબને તેમની સાથે નીકટનો નાતો હતો, અને પ્રસંગોપાત અહીં પધારીને સૌને દર્શન પણ આપે છે. સંતોના મત્તાનુસાર તેઓ પોતાના મસ્તક ઉપર પૃથ્વીને ધારણ કરીને ભાર ઝીલી રહ્યા છે. આ મંદિર સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા બન્યું છે. તેમાં ત્રણ નાગદેવના દર્શન થાય છે.

ગુરુવાઈ પદનો સ્તંભ (ધર્મનો સ્થંભ)

ગુરુવાઈ પદનો સ્તંભ (ધર્મનો સ્થંભ)

શ્રી રામદેવપીર મંદિરના વિશાળ પ્રાંગણમાં ધર્મની સફેદ ધજાવાળા સાહેબના સ્તંભની સ્થાપના થઈ છે જે ગુરુવાઈ પદનો સ્તંભ (ધર્મસ્થંભ) પણ કહેવાય છે. શ્રી સવારામ સાહેબને હંસદાસ સાહેબનું મિલન થયેલું. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા ભક્તોના જયજયકાર વચ્ચે વિ.સં. ૨૦૪૪ ના ભાદરવા સુદ ૨ ને બુધવાર તા. ૧૩-૯-૧૯૮૮ ના રોજ આ ધર્મસ્થંભનું સ્થાપન થયું છે.

સિંહ – શક્તિનું સ્થાન

સિંહ – શક્તિનું સ્થાન

શ્રી રામદેવજી મહારાજના બાવન ગજના દેવળમાં બીરાજીત શ્રી રામદેવજી મહારાજની દિવ્ય ચેતના સભર તેજસ્વી મૂર્તિની બીલકુલ સામે શક્તિના સ્થાન તરીકે સિંહની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાપના સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા કરવામાં આવી છે.

આદ્યશક્તિનો સ્તંભ

આદ્યશક્તિનો સ્તંભ

આદ્યશક્તિ શ્રી વેરાઈમાના દેવળ સન્મુખ આવેલા આદ્યશક્તિના સ્તંભ ઉપર નિશાન તરીકે લાલ ધજા ફરકી રહી છે. આ સ્તંભની સ્થાપના વિક્રમ સંવત ૨૦૫૧ ના ફાગણ સુદ ૧૫ ને શુક્રવાર તા. ૧૭-૩-૧૯૯૫ ના રોજ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક કરવામાં આવી છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ અને સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજને આદ્યશક્તિ સાથે નીકટનો નાતો છે.

બાવા બાળનાથનો ધૂણો

બાવા બાળનાથનો ધૂણો

પોકરણગઢમાં ભૈરવા રાક્ષસને ભોંયરામાં ભંડારનાર બાબા રામદેવ પીરે ગુરુ તરીકે બાવા બાળનાથને સ્વીકારીને ગુરુપરંપરાને આગળ ધપાવી. એ ગુરુ બાળનાથની તેજસ્વી મોહક સ્મિત વેરતી ધ્યાનસ્થ મૂર્તિ અને અખંડ ધૂણાના અહીં દર્શન થાય છે.

શ્રી આદ્યશક્તિ વેરાઈ માતાનું દેવળ

શ્રી આદ્યશક્તિ વેરાઈ માતાનું દેવળ

બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબના કૂળદેવી આદ્યશક્તિ શ્રી વેરાઈમાંનુ આ દેવળ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક બન્યુ છે. તેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિ.સં. ૨૦૫૧ વૈશાખ વદ ૧૦ ને સોમવાર તા. ૨૨-૫-૧૯૯૫ ના રોજ ઉજવાયો હતો. તેમાં શ્રી બહુચર માના દર્શન થાય છે. શ્રી વેરાઈમાની સાથે રહેનાર શક્તિ તથા કૂળદેવને સ્થાન અપાયા છે. દેવળ પર લાલ ધજા લહેરાય છે. સાથોસાથ અહીં શ્રી ખોડીયાર મા તથા શ્રી મેલડી માના પણ દર્શન થાય છે.

શ્રી ગણપતિ મહારાજ (બાવન ગજનું દેવળ)

શ્રી ગણપતિ મહારાજ (બાવન ગજનું દેવળ)

બીજા જુગમાં જ્યારે સત્ય સનાતન ધર્મની સ્થાપના થઈ ત્યારે રચાયેલા સવરા મંડપમાં આગેવાની રાજા હરિશ્ચન્દ્રની હતી. એ સમયે કોટવાળ તરીકે ગણેશજી હતા જે અહીંના બાવન ગજના દેવળમાં દર્શનીય બન્યા છે.

શ્રી ગરુડ ભગવાન

શ્રી ગરુડ ભગવાન

પ્રથમ જુગમાં જ્યારે સત્ય સનાતન ધર્મની સ્થાપના થઈ ત્યારે જે સવરામંડપ રચાયો તેમાં આગેવાની પ્રહલાદજીની હતી. આ સમયે કોટવાળ તરીકે ગરુડજી હતા. એ ગરુડજીના દર્શન અહીં શ્રી રામદેવપીરના બાવન ગજના દેવળની પરસાળમાં થાય છે.

શ્રી કાળભૈરવ

શ્રી કાળભૈરવ

ત્રીજા જુગમાં જ્યારે સત્ય સનાતન ધર્મની સ્થાપના થઈ ત્યારે સવરામંડપમાં આગેવાની યુધિષ્ઠિર રાજાની હતી. એ સમયે કોટવાળ તરીકે કાળભૈરવ હતા. એ કાળભૈરવ અહીંના બાવનગજના દેવળમાં મૂર્તિમંત થયા છે. એમનું એ સ્વરૂપ દર્શનીય બન્યું છે.

શ્રી હનુમાનજી મહારાજ (બાવન ગજનું દેવળ)

શ્રી હનુમાનજી મહારાજ (બાવન ગજનું દેવળ)

ચોથા જુગમાં સત્ય સનાતન ધર્મની સ્થાપના માટે જ્યારે સવરામંડપ રચાયો ત્યારે એમાં બલિરાજાની આગેવાની હતી. એ સમયે કોટવાળ તરીકે હનુમાનજી મહારાજ હતા. એ હનુમાનજી મહારાજ અહીં આ દેવળમાં દર્શનીય બન્યા છે.

શ્રી રામદેવજી મહારાજનું દેવળ

શ્રી રામદેવજી મહારાજનું દેવળ

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક નિર્માણ પામેલ શ્રી રામદેવજી મહારાજના બાવન ગજના દેવળનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૬-૪-૧૯૯૮ થી તા. ૧૮-૪-૧૯૯૮ સુધી ધામધૂમથી ઉજવાયો હતો. દેવળમાં સિંહાસન પર બીરાજીત શ્રી રામદેવજી મહારાજની જમણી તરફ બહેન સગુણા અને ભાણેજ ગગુભા છે અને ડાબી તરફ ચમર ઢોળતા શ્રી હરજી ભાટી અને શ્રી ડાલીબાઈ છે. સમગ્ર દેવળ કલાત્મક છે અને તેમાં વિવિધ દેવી-દેવતા અને અન્ય મૂર્તિઓને સ્થાપીત કરવામાં આવ્યા છે. દશેય અવતારનો અહીં સમન્વય છે. શ્રી રામદેવજી મહારાજની સિંહાસન ઉપર બીરાજીત મૂર્તિની વિશ્વમાં સૌ પ્રથમ અહીં સ્થાપના થઈ છે.

શ્રી આંબલીયા હનુમાનજી

શ્રી આંબલીયા હનુમાનજી

આદ્યશક્તિ શ્રી વેરાઈમાના દેવળની પાછળ આંબલીયા હનુમાનજીનું સ્થાન આવેલું છે. આ જગ્યા પર પહેલાં એક મોટી આંબલી હતી. એ આંબલીના વૃક્ષને સ્થાને અહીં હનુમાનજીની મૂર્તિને પ્રસ્થાપીત કરવામાં આવી છે.

શ્રી સવારામ સાહેબ ભોજનશાળા અને શ્રી રામદેવ પીર અન્નક્ષેત્ર

શ્રી સવારામ સાહેબ ભોજનશાળા અને શ્રી રામદેવ પીર અન્નક્ષેત્ર

રણુજાના રાય શ્રી રામદેવજી મહારાજના વચન અનુસાર વિક્રમ સંવત ૧૯૬૯ થી અખંડ સદાવ્રત ચાલુ થતા સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક વિ.સં. ૨૦૫૫ માં (ઈ.સ. ૧૯૯૯) બનેલ વિશાળ ભોજનશાળાને “શ્રી સવારામ સાહેબ ભોજનશાળા” એવું નામ અપાયું. ત્યારબાદ વધતી જરૂરિયાતને લઈ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજે વિ.સં. ૨૦૭૧ ના વૈશાખ વદ ૧૧ ના રોજ “શ્રી રામદેવ પીર અન્નક્ષેત્ર” નામની સગવડતાયુક્ત નવી ભોજનશાળાનું નિર્માણ કરી વિસ્તૃતિકરણ કર્યું.

ભૈરવ ગુફા

ભૈરવ ગુફા

પોકરણગઢની પ્રજાને ત્રાસ આપનાર ભૈરવાને શ્રી રામદેવજી મહારાજે ભોંયરામાં ભંડારી દીધેલ. એ ભૈરવનાથની સવા તેર ફૂટ ઊંડી ગુફા અહીં સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા રચાઈ છે. એ રંગબેરંગી ગુફા પર કાળી ધજાનું નિશાન ફરકે છે. આ ગુફામાં ભૈરવની મૂર્તિની સ્થાપના વિ.સં. ૨૦૫૬ ના વૈશાખ વદ ૯ ને શનિવાર તા. ૨૭-૫-૨૦૦૦ ના રોજ સવારે ૧૧-૧૫ કલાકે કરવામાં આવી છે.

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમ

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમ

ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ દ્વારા નિર્માણ પામેલ આ આશ્રમના વિશાળ પ્રવેશદ્વાર પરના ટાવરમાં ચાર દિશાના ચાર ઘડિયાળ છે. આ આશ્રમ બન્યો તે પહેલાં અહીં “સંત શ્રી સવા ભગત” ફિલ્મનું શુટીંગ થયેલ છે. સુંદર ફૂલ ઝાડથી બગીચા જેવો રળિયામણો લાગતો આ આશ્રમ પીપળીધામની સુંદરતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

શ્રી ગુરુદેવ મહામંત્ર સ્મૃતિ મંદિર

શ્રી ગુરુદેવ મહામંત્ર સ્મૃતિ મંદિર

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજનું આ મંદિર ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ હસ્તક રાજસ્થાનના બંસીપાલ પથ્થરો વડે નિર્માણ પામ્યું છે. વિ.સં. ૨૦૭૦ ના માગશર સુદ ૧૩ ને રવિવાર તા. ૧૫-૧૨-૨૦૧૩ ના રોજ તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ સમયે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ‘ગુરુદેવ’ નામ મહામંત્ર પત્રિકાઓની સ્મૃતિ માટે આ મંદિરને ઉપરોક્ત નામ અપાયું છે. આ મંદિર “સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમ” માં આવેલું છે.

શ્રી હનુમાનજી મહારાજ (બળદેવદાસ મહારાજ આશ્રમ)

શ્રી હનુમાનજી મહારાજ (બળદેવદાસ મહારાજ આશ્રમ)

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમમાં ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ હસ્તક બનેલ દેવળમાં શ્રી હનુમાનજી મહારાજના દર્શન થાય છે. મંદિરની પાછળ દૂર “સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ ભુવન” દૃષ્ટિ ગોચર થાય છે.

શ્રી રામદેવજી મહારાજનો વિસામો

શ્રી રામદેવજી મહારાજનો વિસામો

વિ.સં. ૧૯૭૪ માં બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ રાસમંડળ લઈ બજાણા ગામ જતા હતા ત્યારે આ જગ્યાએ અચાનક પાલખીમાંથી શ્રીફળ નીચે ફૂટી પડતા અહીં બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબે શ્રીફળ મૂકી શ્રી રામદેવજી મહારાજની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન ‘શ્રી રામદેવ પીરનો વિસામો’ કહેવાય છે. ત્યારબાદ વિ.સં. ૨૦૫૬ માં સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક અહીં ઘોડેસ્વાર શ્રી રામદેવજી મહારાજની મૂર્તિવાળું દેવળ બન્યું છે. અહીં ઓસરીમાં નજીક રહેતા બે સંતપુરુષોને તેમની ઈચ્છાથી સ્થાન અપાયા છે. આ જગ્યાએ સતી શ્રી ઝબુબાઈએ વિ.સં. ૧૯૯૮ માં પ્રથમવાર દેહત્યાગ કરેલો.

શ્રી બળદેવદાસ મહારાજ ગૌશાળા

શ્રી બળદેવદાસ મહારાજ ગૌશાળા

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક શ્રી રામદેવ પીરના વિસામે ગૌશાળાનું નિર્માણ થયું છે. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજના દેહવિલય બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર-શિષ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજે આ ગૌશાળાને નવા રૂપ રંગ સાથે વિસ્તૃતિકરણ કરી આધુનિક સગવડતા બક્ષી. આ ગૌશાળાને “શ્રી બળદેવદાસ મહારાજ ગૌશાળા” એવું અવિસ્મરણીય નામ અપાયું અને આ સ્થાનની શોભામાં અભિવૃદ્ધિ કરી.

રામા સરોવર

રામા સરોવર

શ્રી રામદેવ પીરના વિસામાના સ્થળે સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા રામા સરોવરનું પ્રારંભિક નિર્માણ થયું. ત્યારબાદ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ દ્વારા આ સરોવરની કાયાપલટ થતાં તે ખૂબ સુંદર અને મોહક બન્યું. પોરબંદરના પથ્થરો વડે મઢાયેલા આ સરોવરમાં પ્રવેશ માટે કલાત્મક પ્રવેશદ્વાર બનાવ્યું છે. ચોતરફ સુંદર વનરાજી છે. અહીં પ્રવેશદ્વાર પાસે દેરીમાં નાગદેવને સ્થાન આપવામાં આવ્યું છે.

શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમ (બજાણા)

શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમ (બજાણા)

આ આશ્રમ બજાણા ગામે આવેલ છે. ઝબુબાઈ બજાણાના હતા. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે આ જગ્યાએ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બોર બનાવેલો હતો અને અહીંથી નવ કિલોમીટર દૂર પીપળીધામ પાઈપલાઈન દ્વારા પાણી પહોંચતું હતુ. આ આશ્રમમાં પીપળીધામ મંદિરના ફોટા પધરાવેલ છે અને શ્રી હનુમાનજી મહારાજનું નાનું મંદિર આવેલું છે.

શિવાલય

શિવાલય

સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા શ્રી રામદેવ પીરના વિસામે આ શિવાલયનું નિર્માણ થયું છે. રુદ્રયાગ-યજ્ઞ દ્વારા તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિ.સં. ૨૦૫૬ ના જેઠ વદ ૧૧ ને શનિવારના રોજ સંતો મહંતોની હાજરીમાં રંગેચંગે ઉજવાયો હતો. ત્યારબાદ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજે તેનું વિશેષ બાંધકામ કરી સુવિધાઓથી સજજ કરી મનોહર રૂપ આપ્યું. આ શિવાલય માટે ખોદકામ કરતાં પાયામાંથી કળશ, પોઠીયો અને થાળુ નીકળેલા જે આ જગ્યાનું પ્રાચીન મહત્ત્વ દર્શાવે છે. બજાણા જંત્રીમાં તેનો ઈશ્વરીયા મહાદેવ તરીકે ઉલ્લેખ કરેલો છે.