શ્રી રામદેવપીર મંદિર - પીપળીધામ

બાવનગજના દેવળનું નિર્માણ અને ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ગાથા.

  1. શ્રી રામદેવપીરનું બાવનગજનું દેવળ

    રણુજાના રાય પીર રામદેવજી મહારાજે શ્રી સવારામ સાહેબને બાવનગજના નેજાનું અને કાયમી બેસવાનું વચન આપ્યું તેનું પ્રતિબિંબ શ્રી ઝબુબાઈના પદ "પીપળીએ પીરૂના બેસણા"માં પડે છે. એ શબ્દો સાકાર બનવાનો સમય અનુકૂળ બન્યો. પીપળી ધામમાં આદશક્તિના સ્થંભનું સ્થાપન વિ.સં. ૨૦૫૧માં થતાં અને આદશક્તિ વેરાઈ માતાનું દેવળ વિ.સં. ૨૦૫૧માં બનતા હવે પીર રામદેવજી મહારાજનું બાવનગજનું દેવળ બનાવવાનું નક્કી થયું. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે કુટુંબના સભ્યોને અને ગણપતભાઈ પ્રજાપતિ (મોટા હરિપરા) તથા પરસોત્તમભાઈ પ્રજાપતિ (ધ્રાંગધ્રા) વગેરેને તેનું સૂચન કરી દીધું. એ અનુસાર નકશો તૈયાર થતા ધ્રાંગધ્રાના સોમપુરાને કામ સોંપાયું.

    ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૫૧ના ફાગણ વદ ૧૩ ને બુધવાર તા. ૨૯-૩-૧૯૯૫ના રોજ સવારે નવા નવ વાગ્યે શ્રી બળદેવદાસ મહારાજ અને શ્રી ગોદાવરીબેન (માતાજી)ના શુભ હસ્તે દેવળનું ભૂમિપૂજન થયું. એ સમયે ગણપતભાઈ પ્રજાપતિને દેવળના બાંધકામની નિમિત્તરૂપ જવાબદારી સોંપાઈ.

    ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૫૧ના ચૈત્ર સુદ ૧૫ને શનિવાર તા. ૧૭-૪-૧૯૯૫ના રોજ સવારે સવા સાત વાગ્યે દેવળનો શિલાન્યાસવિધિ થયો. સદ્‌ગુરુની પ્રેરણાથી કાર્યવાહી ઝડપી બની. સેવક સમુદાય પણ સેવાનો લ્હાવ લેવા દેવળની કામગીરીમાં જોડાયો. જોતજોતામાં સવા બે વર્ષના ગાળામાં પથ્થરના બાંધકામની કાર્યવાહી બની ગઈ. પછી દેવળને સુશોભિત કરવાની કાર્યવાહી બની. અનેકવિધ મૂર્તિઓ અને નકશીકામથી દેવળ શોભી ઉઠ્યું. તેમાં સ્થાપિત થયેલી મૂર્તિઓ નીચે પ્રમાણે છે :

    અવતાર : વિષ્ણુ

    (૧) કચ્છ (૨) મત્સ્ય (૩) વરાહ (૪) નૃસિંહ (૫) વામન (૬) પરશુરામ (૭) રામ (૮) કૃષ્ણ (૯) બુદ્ધ

    નવદુર્ગા :-

    (૧) શૈલપુત્રી (૨) સ્કંદમાતા (૩) કાલરાત્રિ (૪) કાત્યાયની (૫) મહાગૌરી (૬) કુષ્માંગા (૭) બ્રહ્મચારીણી (૮) ચંદ્ર ઘંટા (૯) સિદ્ધિદાત્રી

    આ ઉપરાંત મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, અન્નપૂર્ણા દેવી અને વીણાવાદીની ના દર્શન થાય છે.

    ચારે જુગના ધર્મના આગેવાન :

    (૧) પ્રહલાદ (૨) હરિશ્ચન્દ્ર (૩) યુધિષ્ઠિર (૪) બલીરાજા

    ઉપરાંત ત્રણ દિશાના દેવ (૧) યમ (૨) વરૂણ (૩) દત્તાત્રેય તથા કુબેર, નટરાજ અને બલરામની મૂર્તિઓ છે.

    ચાર દિશાના ચાર ખૂણા :

    (૧) અગ્નિ (૨) નૈઋત્ય (૩) વાયવ્ય (૪) ઈશાન

    આ સિવાય નીચે પ્રમાણે અન્ય મૂર્તિઓ અને પ્રતિકો છે :

    (૧) અર્ધનારેશ્વર (૨) ઋષિ (૩) ઋષિ અને ઋષિપત્ની (૪) ગોપીચંદ અને ભરથરી (૫) વિશ્વકર્મા (૬) વાસુકીનાગ (૭) ધનવંતરી વૈદ (૮) બટુક ભૈરવ (૯) સુખનાથનો સિંહ (૧૦) જોગણીઓ (૧૧) મેનકા અપ્સરા (૧૨) પરીઓ (૧૩) ગાંધર્વ યુગલ (૧૪) વાદ્ય સમૂહ (૧૫) ગાંધર્વો (૧૬) નૃત્યાંગનાઓ (૧૭) બે ચોકીદાર (૧૮) દ્વારપાળ (૧૯) સેવિકાઓ (૨૦) આંબો (૨૧) વડ (૨૨) કળશ (૨૩) પાટ (૨૪) સૂર્ય (૨૫) ચંદ્ર (૨૬) વીર (૨૭) સાખીયા

    આમ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સત્ય સનાતન ધર્મની ધારાને અનુસરીને, તેને આવરીને શ્રી રામદેવપીર બાપાના દેવળનું નિર્માણ થયું. શ્રી રામદેવપીર બાપાની આજ્ઞા મેળવીને તેમાં અનંત અકળ કળાઓનો સમન્વય કરવામાં આવ્યો છે કે જેની જ્ઞાની કે અનુભવીને જ ગમ પડી શકે છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજના સાનિધ્યમાં, તેમની દેખરેખ અને માર્ગદર્શન નીચે તેમના હસ્તક આ અતિ દિવ્ય, રમણીય અને કલાત્મક બાવનગજના ગજપીઠ શ્રી રામદેવપીર બાપાના દેવળનું નિર્માણ થયું છે તેમાં ચારે જુગનું ધર્મનું અનુસંધાન સંકળાયેલું છે. દેવળ માટે કોઈ ફંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવ્યું. શ્રી રામદેવપીરના વચનનો પ્રતાપ છે.

    આ દિવ્યદેવળ જ્યારે પૂર્ણતાના આરે હતું ત્યારે દેવળમાં બીરાજીત થનાર રણુજાના રાય પીર રામદેવજી મહારાજની મૂર્તિ રાજસ્થાનના જયપુર શહેરમાં બનાવવાનું નક્કી થયું. પીર રામદેવજી મહારાજના અહીં કાયમી બેસવાના વચન અનુસાર તેમની આસનવાળી બેઠેલ મૂર્તિ બનાવવાનો નિર્ણય થયો. કબીર સાહેબનું જે રીતે આસન છે તેવા આસનવાળી મૂર્તિ બનાવવાનું સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે નક્કી કર્યું. એ આસનમાં કરામત અને રહસ્ય સમાયેલું છે. અનુભવી પુરુષો એનો ખ્યાલ મેળવી શકે.

    શ્રી બળદેવદાસ મહારાજે શ્રી રામદેવ પીર બાપાની આરસની મૂર્તિ ઉપરાંત અન્ય આઠ મૂર્તિઓની સ્થાપના કરવાનું સૂચન કર્યું. એ મૂર્તિઓના નામ નીચે પ્રમાણે છે :

    (૧) હરજી ભાટી (૨) ડાલીબાઈ (૩) સગુણાબેન (૪) ભાણેજ ગગુભા (૫) ગણપતિ (૬) ગરુડજી (૭) કાળભૈરવ (૮) હનુમાનજી

    જયપુરમાં તૈયાર થયેલી મૂર્તિઓની પધરામણી પીપળીમાં થઈ. સમગ્ર પીપળી ગામમાં એ મૂર્તિઓની શોભાયાત્રા નીકળી. સમગ્ર ગ્રામજનો તથા સેવકો અને દર્શનાર્થીઓ તેમાં આનંદ ઉલ્લાસપૂર્વક જોડાયા. બેન્ડવાજા, ઢોલ, અબીલ, ગુલાલ, સુગંધીત પુષ્પો દ્વારા ભક્તિસભર માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થતા મૂર્તિઓ મંદિરના પ્રાંગણમાં દાખલ થઈ અને નકલંક આશ્રમમાં વિશ્રામ કર્યો.

  2. પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ તૈયારી

    હવે દેવળના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સમસ્ત પીપળીના ગ્રામજનોને આ મહાપર્વમાં સહકાર દ્વારા સાંકળીને સેવાનો લ્હાવ આપવાનું નક્કી કર્યું. એ અનુસાર તા. ૧૪-૧-૧૯૯૮ના રોજ ઉનરાયણની રાત્રે મુસ્લિમ, પટેલ, ભરવાડ, સાધુ-સંત, હરિજન એમ હરેક કોમના અગ્રણી નાગરિકોની મંદિરમાં બેઠક ગોઠવી સભાનું આયોજન કર્યું. તેમાં તેમણે આયોજનની રૂપરેખા અને જરૂરી કાર્યવાહીનો સંકેત આપી ગ્રામજનોને શોભા આપતું મનનીય સંબોધન કર્યું. સમગ્ર ગ્રામજનોએ પોતાના આંગણે આવા મહાઉત્સવના પ્રસંગે સંમિલિત થઈ સહકાર આપી પોતાની ફરજ અદા કરવાનો એકી અવાજે નિર્ણય કર્યો.

    પીપળીના ગ્રામજનોને આ સંબોધન બાદ દશ દિવસે પીપળીમાં મૂર્તિઓનો પ્રવેશ થયો હતો. મૂર્તિઓનું આગમન થતા સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે પ્રતિષ્ઠાના સમયની તારીખો જાહેર કરી. તેમણે વિક્રમ સંવત ૨૦૫૪ના ચૈત્ર વદ ચોથ, પાંચમ, છઠને ગુરુવાર, શુક્રવાર અને શનિવારનો સમય નિર્ધારિત કર્યો. એટલે કે ઈ.સ. ૧૯૯૮ના એપ્રિલ માસની તા. ૧૬, ૧૭ અને ૧૮ નો સમય જાહેર કર્યો. એમાં ચૈત્ર વદ પાંચમ તા. ૧૭-૪-૯૮ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાદિન નક્કી કર્યો.

    લાખોની જનમેદનીને આવરી લેતા વિશાળ આયોજન માટે સમય ખૂબ ઓછો હતો. સૌને ચિંતા થતી હતી. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સૌને હિંમત, આશ્વાસન અને પ્રેરણા આપી માર્ગદર્શન આપ્યું.

    તેમની પ્રેરણાથી પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આરંભાઈ. આ માટે "શ્રી રામદેવપીર બાપા મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ" રચાઈ. તેમાં કૌટુંબિક સભ્યોનો સમાવેશ કરી તેમને અલગ અલગ કામગીરી સોંપાઈ. તેમાં સર્વશ્રી (૧) શ્રી મહાદેવભાઈ (પૂજારી બાપુ) (૨) શ્રી શંકરભાઈ (દાદા) (૩) શ્રી વાસુદેવ મહારાજ (૪) શ્રી પ્રવીણ મહારાજ (૫) શ્રી ઈશ્વર મહારાજ (૬) શ્રી દલસુખ મહારાજ (૭) શ્રી મનુ મહારાજ (૮) શ્રી ગોવિંદ મહારાજ (૯) શ્રી નરસિંહ મહારાજ તથા (૧૦) શ્રી પ્રકાશ મહારાજ એ સર્વેની આગેવાની નીચે સેવક સમુદાય જોડાયો.

    પ્રતિષ્ઠા પર્વની તમામે તમામ ઝીણી ઝીણી બાબતો અને પાસાઓ વિચારી આયોજન ગોઠવાયું. નકશો તૈયાર થયો. શ્રી બળદેવદાસ મહારાજના સાંનિધ્યમાં ટૂંકા સમયગાળામાં જ જબરદસ્ત આયોજન આરંભાયું. સેવા માટે સેવક સમુદાય તન-મન-ધનથી કાર્યવાહીમાં જોડાયો. વિશાળ પ્રમાણમાં જમીનને આવરીને વિવિધ વિભાગો માટેની તૈયારીઓ શરૂ થઈ.

    વિશાળ ભોજનગૃહ, સભામંડપ, સંતો મહંતોના ઉતારા, યજ્ઞ મંડપ માટેની વ્યવસ્થા, તેમાં ભાગ લેનાર યજમાનોની અલગ વ્યવસ્થા, અભ્યાગત સાધુઓની વ્યવસ્થા, વાહન પાર્કિંગની વ્યવસ્થા, પાણી અને ચા-કૉફીની વ્યવસ્થા, સરકારી ઑફિસો માટે જગ્યાનું અને મંડપનું આયોજન, આનંદમેળાની વ્યવસ્થા, સ્વયંસેવકો અને સેવક સમુદાયના ઉતારાની વ્યવસ્થા, પૂછપરછ વિભાગ, પુસ્તકો અને ફોટાઓનો વિભાગ એમ હરેક પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. આ માટે મંડપનું વિશાળ આયોજન ગોઠવાયું. હરેક મંડપોમાં ઇન્ટરકોમ ફોન અને વોકીટોકીની વ્યવસ્થા ગોઠવાઈ. પ્રસંગના ટી.વી. પ્રસારણ માટે ઠેકઠેકાણે ટી.વી. કેમેરાનું આયોજન ગોઠવાયું. ચોવીસે કલાક લાઈટ માટે વિશાળ શક્તિશાળી જનરેટરો હતા. ઈન્દોરવાળાની રંગીન રોશનીનું આયોજન થયું હતું.

    આ પ્રસંગે આમંત્રણપત્રિકા દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય પ્રદેશોમાં સંતો મહંતોને રૂબરૂ જઈ આમંત્રણ અપાયા. વિવિધ ગામો અને શહેરોમાં જાહેર આમંત્રણ પત્રિકાઓ અને બેનરો લગાવવામાં આવ્યા. પીંપળીને જોડતા રસ્તાઓ પર સ્વાગત કમાનો ખડી કરવામાં આવી.

    શ્રી રામદેવપીર બાપાના આ મોંઘેરા મહોત્સવ માટે સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે ભોજન અને ઠંડા પાણીની વ્યવસ્થા ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. સવારના નવથી રાતના લગભગ ત્રણ વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા ત્રણે દિવસ ગોઠવાઈ હતી.

    પ્રસંગના આમંત્રણને માન આપી પ્રસંગમાં સહાયભૂત થઈ પોતાની ફરજ અદા કરવા સંતો-મહંતો પ્રસંગ અગાઉથી આવવા લાગ્યા. પણ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સંતો મહંતોને પ્રસંગની જવાબદારીમાંથી મુક્ત રાખ્યા હતા.

  3. દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ

    "પીપળીએ પીરૂના બેસણા"નો સમય આવી ગયો. પ્રતિષ્ઠા મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ હતી. ચારે દિશામાંથી પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગનો લાભ લેવા વિશાળ ભક્ત સમુદાય અને દર્શનાર્થીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો. "શ્રી રામદેવપીર બાપા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ" દ્વારા અનેકવિધ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું હતું.

    પર્વનો મંગલ પ્રારંભ વિષ્ણુ મહાયજ્ઞ દ્વારા થયો હતો. ચારે વેદની સંપૂર્ણ માનમર્યાદા સહિત શ્રી સવારામ સાહેબની નીરગુણ-શીરગુણની ધારાની સમાનતાને અનુલક્ષીને વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન થયું હતું. તેમાં ગુજરાત ઉપરાંત પરપ્રાંતના યુગલોએ પણ યજમાન તરીકેનો લ્હાવ લીધો હતો. આ સાથે ત્રિદિવસીય શ્રી રામદેવ અખંડ ધૂનનો પ્રારંભ થયો. ત્યાર બાદ ધર્મસભાના કાર્યક્રમનો પ્રારંભ થયો. વિશાળ સભામંડપમાં સુશોભિત મંચ પર વિશાળ સંખ્યામાં સંતો મહંતો શોભી રહ્યા હતા. સભામંચની બરાબર મધ્યમાં શ્રી બળદેવદાસ મહારાજ સિંહાસન પર બિરાજિત થઈ વિશિષ્ટ પ્રતિભા ઉપસાવતા હતા. સર્વ સંતો મહંતોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. પ્રસંગને અનુરૂપ સંતો-મહંતોએ વિશાળ જનસમુદાયને ઉદ્બોધન કર્યું. સભામંડપની શોભા મનોહર હતી. ભજન-સત્સંગનો કાર્યક્રમ પણ સતત ચાલુ હતો. નામાંકિત ભજનીક કલાકારોનો કંઠ રેલાઈ રહ્યો હતો. ચારે તરફ આનંદ ઉલ્લાસ ઉત્સાહ વર્તાતો હતો. જનસમુદાય ભજન, ભોજન અને સત્સંગનો લ્હાવ લઈ રહ્યો હતો. સનાતન ધર્મની ધારાને અનુરૂપ હરેક સંપ્રદાયના સંતોના દર્શન સુલભ બન્યા હતા. જીવનના અણમોલ અને યાદગાર પ્રસંગનો પ્રારંભ થયો. રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર અલૌકિક દેવભૂમિ સમો લાગતો હતો. લોકો સ્વર્ગની ભૂમિ પર હોવાનો અહેસાસ અનુભવતા હતા. દૂર દૂરથી રાત્રે દેખાતી રંગબેરંગી રોશની સૌના મન હરી લેતી હતી. આમ અનેકવિધ કાર્યક્રમો દ્વારા મંગલપર્વનો મંગલ પ્રારંભ થયો.

    મંગલપર્વનો બીજો દિવસ પ્રતિષ્ઠા દિન હતો. આ સમયે હરેક જગ્યાના નામાંકિત સંતો મહંતો પધાર્યા. જૂનાગઢના શ્રી શેરનાથ બાપુ તો હરદ્વાર ખાતે કુંભમેળામાં ભાગ લઈ સીધા જ પીપળી ધામ પધાર્યા હતા. આ દિવસે લાખો ભાવિકો એકત્ર થયા. સૌના હૃદયમાં પ્રસંગનો ઉમાવો હતો. પ્રતિષ્ઠાનો સમય સવારે સવા નવનો રખાયો હતો. શ્રી રામદેવજી મહારાજની ઇચ્છા શ્રી બળદેવદાસ મહારાજના શુભ હસ્તે બિરાજીત થવાની હતી. આથી એ દિવસે વહેલી સવારે સવા છ વાગ્યે શ્રી બળદેવદાસ મહારાજે દેવળમાં જઈ કંઈક મંગલવિધિ કરી.

    ત્યાર બાદ બરાબર સવા નવ વાગ્યે સંતો-મહંતો, પીર, ફકીર, ઓલીયા, ગેબી, પ્રગટ, પ્રેરીક મહાપુરુષો જતી-સતી, દેવી-દેવતાઓ અને ભાવિક ભક્તોની હાજરી વચ્ચે સતત વિવિધ જયનાદ દ્વારા શ્રી રામદેવપીર બાપાની ઇચ્છાનુસાર શ્રી બળદેવદાસ મહારાજના શુભ સ્વ-હસ્તે અનંત બ્રહ્માંડોના નાથ, ચેતનબ્રહ્મ રણુજાના રાય પીર રામદેવજી મહારાજની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. શંખનાદ, ઘંટનાદ, ઝાલર અને નગારાના દિવ્ય સંગીત વચ્ચે આરતી-પૂજન થયું. ધૂપ દીપ અને અત્તરથી હવા સુગંધિત અને વિશુદ્ધ બની. આ સાથે અન્ય આઠ મૂર્તિઓની પણ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી.

    આકાશની મુક્ત હવામાં બાવન ગજના દેવળ ઉપર બાવન ગજનો લીલુડો નેજો ફરકાવવામાં આવ્યો. આ સમયે આકાશમાંથી પુષ્પક વિમાન દ્વારા સુગંધિત પુષ્પોની વૃષ્ટિ થઈ. લગભગ એક કલાક સુધી શ્રી રામદેવપીર બાપાના દેવળ ઉપર અને સમગ્ર જનમેદની પર પુષ્પવૃષ્ટિ થતી રહી. ભાવિકો એ પુષ્પોને યાદગીરી રૂપે પણ લઈ ગયા. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે અગાઉ કહેલું કે "પીર રામદેવજી પોકરણગઢમાં પધાર્યા તે વખતે જે ઠાઠ હતો તેથી અધિક ઠાઠ જોવા મળશે." અને બન્યું પણ એમ જ. દર્શન માટે લોકધસારો પ્રબળ હતો છતાં શ્રી રામદેવપીર બાપાની કૃપાથી ક્યાંય પણ અવ્યવસ્થા કે અંધાધૂંધી સર્જાયા નહીં. પોલીસતંત્રને કોઈ પણ પ્રકારે બળપ્રયોગ કરવો ન પડ્યો અને બધુ હેમખેમ સચવાઈ રહ્યું.

    વિષ્ણુ મહાયજ્ઞ, ધર્મસભા, ભજન-સત્સંગ, અખંડ રામદેવ ધૂન વગેરે તો ત્રણે દિવસ ચાલુ હતા.

    ત્રીજો દિવસ એ પ્રસંગની પૂર્ણાહૂતિનો દિવસ હતો. આ સમયે ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત રાજદ્વારી પુરુષો પણ પધાર્યા હતા. આ મહોત્સવમાં પધારેલા જગ્યાધારી સંતો-મહંતો તથા અન્ય સાધુ સંત ફકીર ઓલીયા વગેરેને ધર્મની પ્રણાલી અનુસાર શાલ અર્પણ કરી ભેટપૂજાનો વિવેક કરવામાં આવ્યો હતો. એ સિવાય અન્ય હજારો અભ્યાગત સાધુઓને પણ ભેટપૂજાનો વિવેક કરવામાં આવ્યો હતો.

    પ્રતિષ્ઠા મહોત્સવની સમાપ્તિ બાદ શ્રી બળદેવદાસ મહારાજની આજ્ઞા અનુસાર કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના દૂર દૂરના ગામોમાં બુંદી અને ગાંઠીયાનો પ્રસાદ વહેંચાયો. આ ઉપરાંત પીપળીધામ પાસેના રાજ્યના ઘોરી માર્ગ પરથી પસાર થતા દરેક પ્રકારના વાહનો દ્વારા પ્રસાદ વહેંચાયો. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યોમાં પણ ટ્રકો દ્વારા પ્રસાદ પહોંચ્યો. આ પ્રક્રિયા ઘણો સમય ચાલુ રહી.

    આમ માત્ર ત્રણ વર્ષના ગાળામાં બનેલ બાવન ગજના દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ શાહી દિવ્ય ઠાઠમાઠથી પરિપૂર્ણ સફળતાપૂર્વક ઉજવાયો. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે આ પ્રસંગ માટે પાણીની જરૂરિયાતને અનુલક્ષીને અગમચેતી રૂપે દેવળના બાંધકામ અગાઉ બજાણા ગામે પાણીનો બોર પણ બનાવેલો.