બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ

શ્રી રામદેવપીર મંદિર — પીપળીધામ

  1. પ્રાગટ્ય અને દિવ્ય સંકેતો

    માતુશ્રી છે જીવુમા પિતાશ્રી હરજીવનદાસ બળદેવ સદ્‌ગુરુ સવારામના ચરણકમળનો દાસ

    ચેતન બ્રહ્મ રણુજાના રાય પીર રામદેવજી મહારાજે શ્રી સવારામ સાહેબને વચન આપતા એવા શબ્દ ઉચ્ચારેલા કે "આગળ ઉપર સમય અનુકૂળ બનતાં અનાયાસે જે પુરુષના હાથે જે કંઈ બનવાનું હશે તે બનશે..."

    આ શબ્દો અહીંના ભાવિ મહાપુરુષના પ્રાગટ્યનો અને તેમની કાર્યવાહીનો સંકેત કરે છે. શ્રી સવારામ સાહેબે નાગદેવના સૂચનથી પોતે માટીકામનો વ્યવસાય બંધ કર્યો હતો પણ તેમના સુપુત્ર શ્રી હરજીવનદાસ અને તેમના ધર્મપત્ની શ્રી જીવતીબાઈ (જીવુમા) એ ધંધો કરતા કરતા ખૂબ કષ્ટ વેઠીને ઘરનું ગુજરાન ચલાવવા સહિત અહીં પધારતા સાધુ સંતની સેવા કરતા અને સદાવ્રતની કાર્યવાહી સંભાળતા હતા.

    આવા ભક્ત અને ભક્તિના ઘર પ્રજાપતિ કૂળમાં શ્રી હરજીવનદાસ અને શ્રી જીવુમાને નિમિત્ત બનાવી એમને ત્યાં વિ. સંવત ૧૯૯૦ (ઈ.સ. ૧૯૩૪)ના જેઠ સુદ ૧૫ને રવિવારના રોજ શ્રી બળદેવદાસ મહારાજનું પ્રાગટ્ય થયું. અલૌકિક સત્તા અને શક્તિના કેન્દ્ર સમા મહાપુરુષનો પ્રાદુર્ભાવ થયો. મનુષ્ય કૃતિના રૂપમાં નિજારી પુરુષ પ્રગટ્યા. કાદવમાં કમળ ખીલે એમ પીપળી જેવા ગામમાં, એ ભૂમિને ધર્મભૂમિ બનાવવા અને શ્રી રામદેવપીરનું પાવનકારી ધામ બનાવવા એમનું આગમન થયું. સંતપુરુષોના દિવ્ય શબ્દ સંકેતો અને ચેષ્ટા દ્વારા આ સત્યની પ્રતીતિ થાય છે.

    તેઓશ્રીએ પોતાના પ્રાગટ્ય સમયે પયપાન શરૂ કર્યું ન હતું. સર્વ ચિંતાતુર બની ગયા. એ સમયે શ્રી સવારામ સાહેબે ઉચ્ચારેલા શબ્દો ખૂબ સૂચક અને ગર્ભિત છે. તેમણે તેઓશ્રીના શીર ઉપર હાથ મૂકતા કહ્યું કે, "ભાઈ, આવું ન ચાલે. શરીર ધારણ કરીને આપ આ વિશ્વમાં આવ્યા છો તો શરીરને અનુરૂપ બનવું જ પડે. આપને પસંદ હોય કે ન હોય, આપને ગમે કે ન ગમે, આપની ઇચ્છા હોય કે ન હોય પણ માનવસહજ ચેષ્ટાને ધારણ કરવી પડે છે. એને અપનાવવી પડે છે."

    ત્યાર બાદ આ શબ્દોનો મર્મ ગ્રહણ કરી તેમણે એ શબ્દો માન્યતામાં મૂકીને માનવસહજ ચેષ્ટા ધારણ કરી લીધી અને પયપાન શરૂ કરી દીધું. શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રી રામદેવપીર જેવા અવતારી પુરુષો પણ માનવસહજ ચેષ્ટામાં વર્ત્યા છે. શ્રી સવારામ સાહેબના શબ્દો આ અવનિ પર થયેલ મહાપુરુષના પ્રાગટ્યનો અણસાર આપે છે.

    આ ઉપરાંત ગિરનારના લગભગ ૨૫૦ વર્ષની ઉંમરના સિદ્ધપુરુષ શાંતિગીરી મહારાજે બાળસ્વરૂપી શ્રી બળદેવદાસ મહારાજના શીર ઉપર શ્રી સવારામ સાહેબનો હાથ મૂકાવેલો અને પછી પોતે મૂકેલો. એ વખતે તેમણે શ્રી સવારામ સાહેબને કહ્યું કે, "આપને અબ ઈસ બાલક કે શીર પર હાથ રખા હૈ તો ગુરુ મહારાજ કે પ્રતાપ સે યે મહાન પરાક્રમી ઔર સિદ્ધ પુરુષ હોગા ઔર સારી વિશ્વ મેં ઉસકા ડંકા બજ જાએગા." તેમના આ શબ્દોનો પ્રભાવ અને સત્યતા હવે દૃષ્ટિગોચર થઈ રહ્યા છે.

    એ જ રીતે ધ્રાંગધ્રા શહેરના કાશી વિશ્વનાથના મંદિરના મહાપુરુષ શ્રી નારાયણ સ્વામીના શબ્દો પણ ખૂબ સૂચક છે. શ્રી બળદેવદાસ મહારાજના પ્રાગટ્યના સમાચાર આપવા તેમના પિતાશ્રી હરજીવનદાસ શ્રી નારાયણ સ્વામી પાસે ગયેલા. એ સમાચાર સાંભળી શ્રી નારાયણ સ્વામીએ આગમરૂપ શબ્દો ઉચ્ચારતા કહેલું કે, "મેં વો બાત જાનતા હૂં. તેરે ઘર જો લડકા હૈ વો રાજતિલક હૈ. યે બાત યાદ રખના. મુજે વો પતા હૈ, ઉસને બહોત યોગ કીયા હૈ ઔર રાજ ભોગકર આયા હૈ. આગે દેખના ક્યા હોતા હૈ. વો સારી દુનિયા મેં નામ કમાયેગા ઔર ઉસકા પ્રકાશ ચારોં ઓર ફૈલ જાએગા. મગર યે બાત અભી કીસીકો કહેના મત. સમય આને પર સબકો માલૂમ હો જાએગા." આમ તેમના આ શબ્દો પણ અવતારી પુરુષના પ્રાગટ્યનો નિર્દેશ કરે છે.

    તેઓ અવતારી પુરુષ હોવા અંગેનું તેમનું બચપણનું હજુ એક વધુ પ્રમાણ મળે છે. તેમની જન્મકુંડળી બનાવતી વખતે ધ્રાંગધ્રાના વિદ્વાન જ્યોતિષી કાળુ મહારાજે શ્રી હરજીવનદાસને નવાઈ સાથે જણાવેલું કે, "આ બાળક કોઈ અવતારી પુરુષ હોય એવા ચિહ્નો બતાવે છે. તે ખૂબ મહાન બનશે. સમય આવશે ત્યારે તેની મહાનતા પ્રગટ થશે અને ધર્મના ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડશે. આખી દુનિયા તેના ચરણોમાં ઝુકશે અને શીર નમાવશે. વિશ્વમાં યુગો સુધી તેનું નામ અમર બની જશે."

    શ્રી સવારામ સાહેબે સમય અને સંજોગ વિચારીને એ જન્મકુંડળી રાખી ન હતી. હવે એ સમય વર્તાઈ રહ્યો છે.

  2. વિવિધ વ્યવસાય

    આવા દિવ્ય સંકેતો ધરાવતા શ્રી બળદેવદાસ મહારાજને લગભગ છ વર્ષની ઉંમરે પીપળીગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાભ્યાસ માટે બેસાડવામાં આવ્યા. પણ તેમને અને શાળાકીય ભણતરને જાણે ઝાઝો મેળ ન હોય તેમ તેઓ અભ્યાસ પ્રત્યે ઉદાસીન રહેતા અને અભ્યાસમાં ઝાઝું ધ્યાન આપતા નહીં. બાળવયસ્ક મિત્રો સાથે રમત-ગમત અને તોફાન મસ્તીમાં સમય વ્યતીત કરતા. તેઓ ભાવિમાં અલૌકિક જ્ઞાનનો અખૂટ ભંડાર બની રહેવાનો સંકેત હશે કે જેથી તેઓ શાળામાં ભણી શક્યા નહીં અને ચાલુ વર્ગે આરામ ફરમાવતા શિક્ષકને ખુરશી પરથી પટકી ખવરાવીને તેમને જગાડવાની ચેષ્ટા કરીને શાળાને તિલાંજલી આપી દીધી. એ પછી કક્કો-બારાખડી અને દાનનો ઘડિયો તેઓ ઘેર બેઠા શીખ્યા.

    ત્યાર બાદ પોતાની લગભગ ૧૪-૧૫ વર્ષની નાની ઉંમરમાં જ પોતાનો ઘરનો વ્યવસાય સ્વીકારી લીધો. ઘરની આર્થિક પરિસ્થિતિ સમજીને તેઓએ પોતાના પિતાજીને માટીકામના વ્યવસાયમાં સહાયરૂપ બનવા ધંધાની કુશળતા મેળવી લીધી.

    શ્રી બળદેવદાસ મહારાજે મહેનતકામના અનેકવિધ ધંધા કર્યા છે. તેઓ ઘરના છાપરા ઢાંકવાના દેશી નળિયા બનાવતા અને તેમાં તેમની ઝડપ ગજબની હતી. તેઓ માટીના રમકડા બનાવતા અને તેના પર રંગકામ કરતા. તેમણે ભાગીદારીમાં મકાન બનાવવાની ઈંટોનો ભઠ્ઠો પણ કરેલો. આ ઉપરાંત પીપળીગામમાં કરીયાણાની દુકાન કરેલી અને એની સાથે સાયકલની ટ્યુબના પંક્ચર સાંધવાનું, સાયકલની સર્વિસ કરવાનું અને સાયકલ પર ભઠ્ઠાનું રંગકામ કરવાનું કામ પણ કરતા. ત્યાર બાદ કરિયાણાનો ધંધો બદલી મીઠાઈની દુકાન શરૂ કરેલી અને મીઠાઈ પણ તેઓ જાતે જ બનાવતા.

    તેમણે ખેતીકામ પણ ખૂબ જ કરેલું છે. ખેતરમાં વાઢવાનું, લણવાનું, ખેડવાનું, કાલા વીણવાનું, ઘાસ નીંદવાનું એમ અનેક પ્રકારે કામ કરી ખૂબ મહેનત કરી છે. આ ઉપરાંત દુષ્કાળના કપરા સમયે તેઓએ રાહત કાર્યોમાં ચોકડીઓ ખોદીને પણ સદાવ્રત માટે અને આજીવિકા માટે કામ કરેલું છે.

    પણ એ સમયે એવી કોને ખબર હતી કે આ મહેનત મજૂરી કરનાર પ્રજાપતિ યુવાન વિશ્વમાં સૂર્ય સમાન તેજસ્વી અને જગતને જ્ઞાનરૂપ પ્રકાશ આપનાર જ્ઞાની પુરુષ તરીકે પ્રકાશિત થશે ! એવી કોને ખબર હતી કે એ સામાન્ય દેખાતો યુવાન ભાવિમાં હજારો જીવાત્માઓના જીવન અજવાળનાર અને શરણે આવેલ ત્રિવિધ તાપગ્રસીત જીવાત્માઓના તાપને હરનાર અને શાંતિ પમાડનાર એક પરાક્રમી મહાપુરુષના રૂપમાં પ્રગટ થશે ! એવી કોને ખબર હતી કે એ વિશ્વમાં "બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબ" તરીકેનો નાદ હરેકના ગગનમંડળમાં ગૂંજતો કરશે ! એ સમયે એવી કોને ખબર હતી કે બચુ નામનો રોજ નજરે નીરખાતો એ યુવાન જગતમાં સત્ય સનાતન ધર્મનો મહાન પ્રવર્તક થશે અને પીર થઈ પૂજાશે ! એવી કોને ખબર હતી કે બચુ એવું લાડકું નામ ધરાવતો પુરુષ બલદેવ પીર યા બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ તરીકે કીર્તિ પામશે ! એવી કોને ખબર હતી કે એ પુરુષ વિશ્વમાં શ્રી બળદેવદાસ સાહેબ તરીકે અમર નામ કમાઈ જશે !

  3. ભજનપ્રેમ અને સદ્‌ગુરુ સેવા

    આ રીતે આજીવિકા માટે મહેનત કરતા કરતા તેમને ભજન સત્સંગમાં રસ પેદા થયો. શ્રી સવારામ સાહેબ પણ જિજ્ઞાસુ ભક્તો અને સેવકોના અતિ આગ્રહને માન આપી ભજન-સત્સંગ અને ધર્મકાર્ય અર્થે ગુજરાતભરના વિવિધ પ્રદેશો અને ગામોમાં વિચરણ કરતા રહેતા હતા. તેઓ તેમની સાથે શ્રી બળદેવદાસ મહારાજને પણ ઘણીવાર લઈ જતા હતા. આમ સમય જતાં તેમની અને શ્રી સવારામ સાહેબ વચ્ચે ગુરુ શિષ્યના નાતાની અતુટ ધારા બંધાઈ અને તેમની જ્ઞાનધારાનો અમૂલ્ય લ્હાવો લેવા લાગ્યા.

    યોગ્ય ઉંમર થતા સમાજ વ્યવહાર અનુસાર તેમના શુભ લગ્ન ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે થયા હતા. તેઓશ્રીના ભંડારી (ધર્મપત્ની)નું શુભ નામ શ્રી ગોદાવરીબેન (માતાજી) છે. તેઓશ્રીને બે સુપુત્ર અને બે સુપુત્રી એમ ચાર ઉત્તમ સંસ્કારી સંતાનો છે.

    શ્રી બળદેવદાસ મહારાજના બંને નાનાભાઈ સર્વશ્રી મહાદેવભાઈ (પૂજારી) તથા શ્રી શંકરભાઈ પણ યોગ્ય ઉંમર થતા કુટુંબના માટીકામના વ્યવસાયમાં સહાયરૂપ બન્યા.

    શ્રી બળદેવદાસ મહારાજને ભજનવાણી પ્રત્યે ભાવ અને લગની પેદા થવાથી તેઓ ભજન ગાતા શીખ્યા અને સૌપ્રથમ શ્રી સવારામ સાહેબનું "મૈં નામ સાહેબકા નૂરી, નથી યોગ્ય સિદ્ધિની જરૂરી" એ ભજન ગાતા શીખ્યા.

    પછી તેઓ ભજનના વાયકને માન આપી બહારગામ પણ જવા લાગ્યા. આ રીતે તેઓ દિવસે કામ કરતા અને રાત્રે ભજનમાંથી આવીને પણ કામ કરતા. સાથોસાથ શ્રી સવારામ સાહેબની સેવામાં પણ ખડે પગે હાજર રહેતા. સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબની તેઓ તનમનની પરવા કર્યા વિના ખૂબ પ્રેમથી સેવા કરતા. શ્રી સવારામ સાહેબના ઉગ્ર સ્વભાવને ચિત્તમાં લાવ્યા વિના તેઓ ધીરજપૂર્વક તેમની સેવા કરતા અને શ્રી સદ્‌ગુરુએ કરેલ આકરી કસોટીમાંથી તેઓ સોટચનું સોનું પુરવાર થયા અને સફળતાપૂર્વક એ કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતર્યા. આથી શ્રી સવારામ સાહેબની કૃપાદૃષ્ટિ તેમના પર ઠેરાણી.

    આમ દરેક પ્રકારના વ્યવસાય કરીને, પરિશ્રમ કરીને, સંકટો સહીને, મહેનત મજૂરી કરીને સદ્‌ગુરુની સેવા કરતા કરતા તેઓ કુટુંબના મુખ્ય આર્થિક સહાયક બની રહ્યા. શ્રી સવારામ સાહેબની સંતસેવાની પરંપરા અને પ્રણાલિકાની જાળવણી અને પ્રગતિના તેઓ મુખ્ય આધાર બની રહ્યા.

  4. ગુરુકૃપા દ્વારા ગુરુભેદ બક્ષિસ

    શ્રી બળદેવદાસ મહારાજનું જન્માક્ષરનું નામ મગન છે. પણ બધા તેમને લાડમાં બચુ કહીને જ બોલાવતા. ત્યાર પછી નરસિંહપુરા ગામના હીરાભગતે શ્રી બળદેવદાસ મહારાજની દરેક પ્રકારની ચપળતા અને ચેતનતા નીહાળી ખુશ થઈને તેમને 'ચેતનદાસ' એવું નામ આપ્યું. ધંધાની કુશળતા, ગુરુસેવા, સંતસેવા અને મંદિરની કામગીરી એમ દરેક બાબતમાં તેમની ચેતનતા સ્પષ્ટપણે નજરે નીરખાતી.

    શ્રી બળદેવદાસ મહારાજને 'બળદેવ' એવું નામ શ્રી સવારામ સાહેબે આપ્યું છે. શ્રી બળદેવદાસ મહારાજની પાછળ કોઈ ગેબી અલૌકિક પરિપૂર્ણ શક્તિ રહેલી છે એવો ખ્યાલ શ્રી સવારામ સાહેબને એ સમયે બનતી ગેબી અલૌકિક ઘટનાઓ અને બાબતોના સંદર્ભમાં આવી ગયેલો. આ રહસ્યમય અનુસંધાને તેઓએ તેમને 'બળદેવ' એવું નામાભિધાન આપ્યું. આવું નામ જ્યારે આપ્યું ત્યારે શ્રી સવારામ સાહેબે શ્રી બળદેવદાસ મહારાજના પહેરવેશમાં પણ પરિવર્તન કરાવ્યું. તેઓ પહેરણ અને લેંઘો પહેરતા તેને બદલે ઝભ્ભો અને ધોતિયું ધારણ કરવા સૂચવ્યું અને માથાના કેશ ટૂંકા કરાવ્યા. ઉપરાંત સોનાનો દાગીનો ધારણ નહીં કરવા સૂચવ્યું.

    સદ્‌ગુરુ શ્રી સવારામ સાહેબની આજ્ઞાનું અક્ષરસઃ પાલન કરનાર શ્રી બળદેવદાસ મહારાજને સદ્‌ગુરુની પૂર્ણ કૃપા થયા પહેલાં ચોથા મુકામ સુધીની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ હતી અને હૃદયમાંથી વાણી સ્ફૂરવા લાગી હતી. તેમના એ સમયે રચેલ બે ભજનોના નામચરણ શ્રી સવારામ સાહેબે આપેલા અને એક ભજનનું નામચરણ તેમણે પોતે આપેલું.

    આ પછી વિક્રમ સંવત ૨૦૧૭ના માગશર વદ-૬ને બુધવારની રાતે શ્રી સવારામ સાહેબે તેમના ઉપર પૂર્ણ કૃપા કરી પોતાની સર્વ સાયબી તેમને સુપરત કરી. શ્રી સવારામ સાહેબની શબ્દરસની ધારા એ બ્રહ્માંડમાં એકત્રિત બની. પોતાની જન્મગત સાથે લાવેલ આગવી શક્તિમાં એ બાબત સામેલ થઈ ગઈ તેઓ ભવિષ્યમાં સવાયા સાબિત થવાના હતા.

    ત્યાર બાદ શ્રી સવારામ સાહેબનો સતલોક વાસ થતા તેમના મંડપ મેળા પ્રસંગે તેમને ગુરુગાદી સુપરત થતાં તેઓ હવે "બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ" બન્યા. હવે એ મંદિરના માત્ર મહંત કે ગાદીપતી ન હતા પણ જીવોના ઉદ્ધારક સદ્‌ગુરુ પણ હતા.

  5. ધર્મ કાજે પરિશ્રમ

    પણ લોકોએ તેઓનું નજરે નીહાળેલું યુવાનીનું જીવન અને યુવાન ઉંમર, સાદો સંસારી પહેરવેશ, પ્રજાપતિ કૂળ અને માટીકામનો ધંધો, દેશી નળિયાવાળું માટીનું મકાન, ગરીબાઈ આવું બધું દૃષ્ટિ સમક્ષ હોવાથી લોકોને તેઓ મહાપુરુષ છે એવો વિશ્વાસ આવતો ન હતો. કેટલાક તો ગમે તેવા શબ્દો ઉચ્ચારી ટીકા પણ કરતા હતા. લોકોએ મંદિર આવવાનું પણ ઓછું કરી નાખેલું. મન પતીતનું પાંગળું હોવાથી જ્યારે જ્યારે મહાપુરુષો કે અવતારી પુરુષો પ્રગટરૂપે હાજર હોય છે ત્યારે જ્ઞાની સિવાય કોઈને વિશ્વાસ આવતો નથી કે ઓળખાણ પડતી નથી.

    શ્રી બળદેવદાસ મહારાજ ઉપરના ફરમાનથી કોઈ સમયને અનુલક્ષીને કારણ-કાર્યના નિયમને અનુસરીને હેતુપૂર્વક પધાર્યા હોવાથી તેમણે પોતાની કાર્યવાહીનો આરંભ કર્યો. તેઓ જીવોને ચેતાવવા અને વિશ્વાસ જગાવવા માટે સામે ચાલીને જિજ્ઞાસુ અને મુમુક્ષુના ઘેર પધારવા લાગ્યા. ધર્મ અને પરમાર્થ માટે પરિભ્રમણ શરૂ કર્યું. એ સમયે મુસાફરી પણ કષ્ટભરી હતી. મર્યાદિત વાહન વ્યવહાર, કાચા રસ્તા, ક્યારેક પગપાળા પ્રવાસ, ઉનાળાનો પ્રખર તાપ, ચોમાસામાં કેડ સમા પાણી આવા બધા વિકટ સંજોગોનો સામનો કરીને તેઓ વિચરણ કરવા લાગ્યા અને જિજ્ઞાસુઓને તથા સેવક ભક્તોને જ્ઞાનધારા, વાર્તાલાપ, પ્રશ્નોત્તરી, ભજનભાવ અને સત્સંગ દ્વારા આનંદમાં તરબોળ કરવા લાગ્યા. હરેક ધારાને આવરીને દરેકને ભાગ્ય અનુસાર બોધ આપીને તથા ભક્તિનું માર્ગદર્શન આપીને ભક્તિનો તથા સદ્‌ગુરુપદનો મહિમા વધારવા લાગ્યા અને પોતાના સર્વલક્ષીપણાનો પરિચય આપતા રહ્યા. આ સમય દરમિયાન દેહધર્મ પ્રત્યે પણ કોઈ સમય કે નિયમની જાળવણી રહેતી નહિ. ખાવા પીવા કે સૂવાનો પણ સમય સચવાતો નહિ. આ રીતે લગભગ ૨૫ વર્ષ પસાર કર્યા અને વિશ્વાસનું વાતાવરણ ખડું થયું.

    આ સમય દરમિયાન તેઓને વિદેહ દશા પ્રાપ્ત થઈ. તેમની શારીરિક જરૂરિયાતો અને ચેષ્ટામાં વિક્ષેપ પડ્યો. તેમનું ચિત્ત ભીતરમાં કેન્દ્રિત થઈ ગયું. કોઈને આ બાબતનો અનુભવ ન હોવાથી તેમના પરિવર્તનને કોઈ સમજી શકેલું નહિ. ત્યાર બાદ વિદેહદશામાંથી ચિત્ત બહાર આવતા તેમણે મનને યા ચિત્તને નવરું રહેવા દીધું નથી.

    હવે ધીમે ધીમે એમનું શ્રી રામદેવપીરનું ઘરમંદિર એમની આધ્યાત્મિક શક્તિ, ભક્તિ અને જ્ઞાનધારાનું કેન્દ્ર બનવા લાગ્યું અને સત્યસનાતન ધર્મનું પ્રમુખ ધામ બનવા તરફ ગતિમાન બન્યું. આ બધી બાબતો ઈર્ષા દ્વેષનું કારણ પણ બનતી રહી. પણ શ્રી બળદેવદાસ મહારાજ ગુણનું ધામ હોવાથી આવી બધી બાબતોમાં તેઓએ ખૂબ ધીરજપૂર્વક સહનશીલતાના દર્શન કરાવ્યા. તેઓના ખ્યાલ બહાર કોઈ બાબત રહેતી નથી અને રહેતી નહિ. સમય આવે ઈન્સાફ પણ થવાનો હશે. આથી તેમની ભીતર તો પ્રેમ, સમાનતા, આધીનતા, ઉદારતા, કરૂણા, દયા જ રહેલા છે. તેમના સમગ્ર જીવનમાં વાણી અને વર્તનનો સુભગ સમન્વય અને સંવાદિતા જોવા મળે છે.

  6. અખૂટ આધ્યાત્મિક જ્ઞાનધારા

    તેમની ભીતર પ્રગટેલ અનુભવ અને આંતરિક પ્રકાશના આધારે તેમની રસના દ્વારા વાણી પ્રગટ થવા લાગી. તેઓ માત્ર બાળપોથી ભણ્યા હોવા છતાં આધુનિક વિદ્વાન કવિ લેખકોને અચંબામાં મૂકી દે એટલી હદે આધ્યાત્મિક વાણીની વિપુલતા અને નાવિન્યતાનું સર્જન કર્યું છે. એ બધી બાબતો તેમના વાણીના ગ્રંથમાં પ્રગટ થઈ છે. તેમની વાણીરચનાઓમાં વૈવિધ્યતાની વિગત નીચે પ્રમાણે છે. શ્રી સવારામ સાહેબની વાણીમાં પણ આવી વિવિધતા જોવા મળે છે.

    (૧) સ્તુતિ (૨) સાખી (૩) આરતી (૪) ગુરુમહિમા (૫) થાળ (૬) ભજન (૭) સાતવાર (૮) કક્કો (૯) આશાવરી (૧૦) ધોળ (૧૧) પ્રભાતી (૧૨) સવૈયા (૧૩) આરાધી (૧૪) પંદર તિથિ (૧૫) કાફી (૧૬) કીર્તન (૧૭) કુંડળીયા (૧૮) રેખતા (૧૯) ધૂન (૨૦) ગઝલ (૨૧) બાર માસ (૨૨) પરજ (૨૩) ગરબી (૨૪) કાન-ગોપી (૨૫) છપ્પા (૨૬) છંદ

    સત્ય સનાતન ધર્મની પરંપરાને આવરીને તેમનો જ્ઞાનખજાનો અખૂટ છે. "શ્રી સવારામ સાહેબની અમરધારા" નામના અહીંના ગ્રંથમાં સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજની જ્ઞાનધારાના નીચેના કેટલાક મુદ્દાઓ સમાયેલ છે :

    (૧) ગુરુમહિમા (૨) માનવમણી પ્રકાશ (૩) સત્સંગ ધારા (૪) ભ્રાંતિ એ જ દુઃખ (૫) પુરાતની પંથ (૬) માયાનો ભેદ (૭) સોહમ્ રામનામ (૮) કોણ જ્ઞાની કોણ અજ્ઞાની (૯) અજીત મન (૧૦) સત્ય સનાતન (૧૧) જીવાત્માની અરજ (૧૨) સ્થુળ દેહજ્ઞાન

    મહાપુરુષની રસના દ્વારા પ્રગટેલ શબ્દો દ્વારા વિચારશીલ વ્યક્તિ પરિચય મેળવી શકે. જોકે સંપૂર્ણ પરિચય યા અનુભવ તો ગુરુકૃપા વિના શક્ય નથી.

  7. પીરાણાનું દુર્લભ અલૌકિક દર્શન

    બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે પોતે સમર્થ હોવા છતાં મહાપુરુષને છાજે એ રીતે રાંકની ચેષ્ટા કરીને સંજોગોનો ધીરજ અને સહનશીલતાથી સામનો કરી સમય સાચવી લીધો. સત્યસનાતન ધર્મની ધારાને અનુલક્ષીને એને અનુરૂપ ભક્તિનો મહિમા ઉજાળતા રહ્યા. હવે તેઓ દ્વારા પીપળી ગામ એ "પીરની પીપળી" તરીકે પ્રકાશિત થવાનો સમય આવી મળ્યો. તેમના દ્વારા સત્ય સનાતન ધર્મ અને યુગપરિવર્તનના અનુસંધાને પીપળીમાં અલૌકિક દિવ્ય સર્જન થવાનો સમય સમીપ આવી રહ્યો હતો.

    આ અંગેની માહિતીરૂપ સૂચના તેમણે પોતાના વિ.સં. ૨૦૪૭ની એક સત્સંગ સભામાં રજૂ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે "મહાપુરુષની કોઈ સાયબી, એમની સંપત્તિ, એમની કરામત, એમની લીલા, એમનો ખેલ એ બાબતને કોઈ સમયે સેવક સમુદાયને થોડી દૃષ્ટિ સમક્ષ આપવાની મારી ઇચ્છા છે જેથી આપને પણ મહાપુરુષની સંપત્તિ અને કરામતનો જીવનમાં કોઈ લાભ મળી શકે. કોઈ અનેરો અનુભવ મળી શકે..."

    શ્રી બળદેવદાસ મહારાજના વચન અનુસાર થોડા મહિના બાદ પીપળીમાં અલૌકિક બાબતો આકાર લેવા લાગી. પીરની પીરાઈ અને શક્તિનો આંશિક અનુભવ થવા લાગ્યો. પણ સેવક સમુદાય એ બાબતો જીરવી શકેલો નહિ. ગેબી ડર હરેકના મનમાં દાખલ થઈ ગયો હતો. મહાપુરુષનો અકળ ખેલ એ સમયે કળી શકાયો નહિ. એ તો એ સમયે જેણે આ બાબતનો અનુભવ કરેલો તેઓ એને હવે કંઈક સમજી શકે. હજારો માનવી વચ્ચે આ ઘટનાઓ બનતી રહી. શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા અનેક પ્રકારની કિંમતી વસ્તુઓ અગ્નિ દેવને અર્પણ થતી રહી. મૂર્તિઓ અને બાંધકામ પણ તોડીને જળમાં સમર્પિત થયા. આ સમય દરમિયાન દરરોજ હજારો રૂપિયાનો પ્રસાદ વહેંચાતો હતો. લોકોમાં અનેક પ્રકારે તર્ક-વિતર્ક અને ચિત્રવિચિત્ર વાતો અને અફવાઓ ફેલાઈ. અલૌકિક ગેબી ટક્કર અને સંઘર્ષનો સમય સર્જાયો હતો. તેના કેન્દ્રમાં શ્રી બળદેવદાસ મહારાજ હતા. આના અનુસંધાને શ્રી બળદેવદાસ મહારાજે ભક્ત સમુદાયની વચ્ચે જાહેર સંબોધન કરેલું જે ઘણું મહત્ત્વનું છે. ઈ.સ. ૧૯૯૨ના જુલાઈ મહિનાનું આ સંબોધન તેમના પરિચય માટે મૂલ્યવાન છે. એ સંબોધનમાં શ્રી બળદેવદાસ મહારાજની જ્ઞાનધારા, અલૌકિક આકાશી ગેબી ટક્કર, તેનો હેતુ, સંત પરંપરા, ગુરુપદની મહત્તા, દેવી દેવતાઓની કાર્યવાહીનું અનુસંધાન, આવનારા સમય કે યુગનો સંકેત, તેમાં સેવકોની ફરજ અને ઉપયોગી આજ્ઞા, પીપળી ધામની ભૂમિકા એટલે કે પોતાના કાર્યની ભૂમિકા વગેરે અનેક બાબતો ભાવિ સંકેતરૂપે તેમાં સમાયેલી છે. એ સંબોધનમાં તેઓશ્રીની નિખાલસતા, નમ્રતા, આધિનતા, મક્કમતા અને મહાનતાના ગુણો પ્રકાશે છે.

    પોતે વાસ્તવમાં ખામીરહીત હોવા છતાં માનવ સહજ લાક્ષણિકતાને પ્રગટ કરી એ સંઘર્ષના કારણરૂપ પોતાની કોઈ આંતરિક ખામીને નિમિત્તરૂપ બનાવીને તેને સ્વીકારીને ગૂઢ રહસ્યો પ્રતિ તેઓ અંગૂલિ નિર્દેશ કરે છે. વ્યાપક પુરુષનો વિરાટ રૂપમાં આંશિક પરિચય યા અનુભવ કરાવ્યો. અર્જુનજી પણ શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ સહન ન કરી શકતા નીચું જોઈ ગયેલા.

    મહાપુરુષ દ્વારા રચાયેલો આ સ્વ ઇચ્છિત અને સ્વ-નિર્મિત અલૌકિક દિવ્ય સંઘર્ષ લગભગ ત્રણ મહિના સુધી રાત દિવસ સતત ચાલુ રહ્યો ત્યાર બાદ ચતુરાઈપૂર્વક એ લીલા સંકેલાતી ગઈ. સત્યના પ્રકાશ માટેનો આ દિવ્ય સંઘર્ષ હતો.

    આ સમય દરમિયાન પીર રામદેવજી મહારાજ, શ્રી સવારામ સાહેબ, હંસદાસ સાહેબ, ઝબુબા, જમનામા, કાશીમા, નાનજીભા, ધ્રાંગધ્રાના નાગાજી, મધાજી બાપુ, દેશળ ભગત, નાગરદાસ બાવા, પીરબાવા વગેરે પ્રત્યક્ષ પ્રગટ થયા હતા. આ ઉપરાંત હનુમાનજી, વીર, ગરુડજી, કાળ ભૈરવ, શેષ નારાયણ, સાખીયા, આદશક્તિ, વેરાઈમા, જોગણીમા, મેલડીમા, ચામુંડામા, ખોડિયાર મા અને અન્ય અનેક દેવી દેવતાઓ પ્રગટ થયા હતા. સાહેબનો દરબાર દેવી દેવતા, મહાપુરુષો અને ભક્તોથી શોભી ઉઠ્યો. શ્રી બળદેવદાસ મહારાજ સાથે રૂબરૂમાં શાન રૂપી શબ્દો દ્વારા વ્યવહાર કરતા રહ્યા. ગેબી શક્તિઓએ શ્રી બળદેવદાસ મહારાજના ચરણોમાં શીર ઝુકાવ્યા. એ સમયે પ્રગટ થઈ ઘણા મહાપુરુષોએ દિવ્ય પરિચયાત્મક સંદેશાઓ પણ પાઠવ્યા. અહીં ગોપીચંદ ભરથરી, ગોરખનાથ, બાવા બાળનાથ, જમીયલ શા દાતાર, માર્કંડ ઋષિ વગેરે અનેક મહાપુરુષોનું આગમન થવા લાગ્યું.

    પીપળીની અહીંની સનાતન ધર્મની ધારા, રીત, રહેણી-કરણી અને વાણી વર્તનના સુમેળથી પ્રભાવિત અને પ્રસન્ન થઈ આવા પુરુષોની દૃષ્ટિ આ તરફ રહી છે. તેઓ પણ પોતાના વિચારોને અનુકૂળ અને પોતાની ધારાને યોગ્ય એવું સ્થળ શોધતા હોય છે અને ત્યાં એવા પ્રગટ મહાપુરુષના મિલન અને દર્શન માટે પધારતા હોય છે. આ ધારા આજે પણ ચાલુ રહી છે. પણ સર્વને એની ઓળખાણ થતી નથી. આવા ચેતન મહાપુરુષો અને દેવીદેવતાઓની મિલનભૂમિને પવિત્ર ધામ કહેવાય છે.

  8. શ્રી રામદેવપીરનું બાવનગજનું દેવળ

    રણુજાના રાય પીર રામદેવજી મહારાજે શ્રી સવારામ સાહેબને બાવનગજના નેજાનું અને કાયમી બેસવાનું વચન આપ્યું તેનું પ્રતિબિંબ શ્રી ઝબુબાઈના પદ "પીપળીએ પીરૂના બેસણા"માં પડે છે. એ શબ્દો સાકાર બનવાનો સમય અનુકૂળ બન્યો. પીપળી ધામમાં આદશક્તિના સ્થંભનું સ્થાપન વિ.સં. ૨૦૫૧માં થતાં અને આદશક્તિ વેરાઈ માતાનું દેવળ વિ.સં. ૨૦૫૧માં બનતા હવે પીર રામદેવજી મહારાજનું બાવનગજનું દેવળ બનાવવાનું નક્કી થયું. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે કુટુંબના સભ્યોને અને ગણપતભાઈ પ્રજાપતિ (મોટા હરિપરા) તથા પરસોત્તમભાઈ પ્રજાપતિ (ધ્રાંગધ્રા) વગેરેને તેનું સૂચન કરી દીધું. એ અનુસાર નકશો તૈયાર થતા ધ્રાંગધ્રાના સોમપુરાને કામ સોંપાયું.

    ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૫૧ના ફાગણ વદ ૧૩ ને બુધવાર તા. ૨૯-૩-૧૯૯૫ના રોજ સવારે નવા નવ વાગ્યે શ્રી બળદેવદાસ મહારાજ અને શ્રી ગોદાવરીબેન (માતાજી)ના શુભ હસ્તે દેવળનું ભૂમિપૂજન થયું. એ સમયે ગણપતભાઈ પ્રજાપતિને દેવળના બાંધકામની નિમિત્તરૂપ જવાબદારી સોંપાઈ.

    ત્યાર બાદ વિક્રમ સંવત ૨૦૫૧ના ચૈત્ર સુદ ૧૫ને શનિવાર તા. ૧૭-૪-૧૯૯૫ના રોજ સવારે સવા સાત વાગ્યે દેવળનો શિલાન્યાસવિધિ થયો. સદ્‌ગુરુની પ્રેરણાથી કાર્યવાહી ઝડપી બની. સેવક સમુદાય પણ સેવાનો લ્હાવ લેવા દેવળની કામગીરીમાં જોડાયો. જોતજોતામાં સવા બે વર્ષના ગાળામાં પથ્થરના બાંધકામની કાર્યવાહી બની ગઈ. પછી દેવળને સુશોભિત કરવાની કાર્યવાહી બની. અનેકવિધ મૂર્તિઓ અને નકશીકામથી દેવળ શોભી ઉઠ્યું. તેમાં સ્થાપિત થયેલી મૂર્તિઓ નીચે પ્રમાણે છે :

    અવતાર : વિષ્ણુ

    (૧) કચ્છ (૨) મત્સ્ય (૩) વરાહ (૪) નૃસિંહ (૫) વામન (૬) પરશુરામ (૭) રામ (૮) કૃષ્ણ (૯) બુદ્ધ

    નવદુર્ગા :-

    (૧) શૈલપુત્રી (૨) સ્કંદમાતા (૩) કાલરાત્રિ (૪) કાત્યાયની (૫) મહાગૌરી (૬) કુષ્માંગા (૭) બ્રહ્મચારીણી (૮) ચંદ્ર ઘંટા (૯) સિદ્ધિદાત્રી

    આ ઉપરાંત મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, અન્નપૂર્ણા દેવી અને વીણાવાદીની ના દર્શન થાય છે.

    ચારે જુગના ધર્મના આગેવાન :

    (૧) પ્રહલાદ (૨) હરિશ્ચન્દ્ર (૩) યુધિષ્ઠિર (૪) બલીરાજા

    ઉપરાંત ત્રણ દિશાના દેવ (૧) યમ (૨) વરૂણ (૩) દત્તાત્રેય તથા કુબેર, નટરાજ અને બલરામની મૂર્તિઓ છે.

    ચાર દિશાના ચાર ખૂણા :

    (૧) અગ્નિ (૨) નૈઋત્ય (૩) વાયવ્ય (૪) ઈશાન

    આ સિવાય નીચે પ્રમાણે અન્ય મૂર્તિઓ અને પ્રતિકો છે :

    (૧) અર્ધનારેશ્વર (૨) ઋષિ (૩) ઋષિ અને ઋષિપત્ની (૪) ગોપીચંદ અને ભરથરી (૫) વિશ્વકર્મા (૬) વાસુકીનાગ (૭) ધનવંતરી વૈદ (૮) બટુક ભૈરવ (૯) સુખનાથનો સિંહ (૧૦) જોગણીઓ (૧૧) મેનકા અપ્સરા (૧૨) પરીઓ (૧૩) ગાંધર્વ યુગલ (૧૪) વાદ્ય સમૂહ (૧૫) ગાંધર્વો (૧૬) નૃત્યાંગનાઓ (૧૭) બે ચોકીદાર (૧૮) દ્વારપાળ (૧૯) સેવિકાઓ (૨૦) આંબો (૨૧) વડ (૨૨) કળશ (૨૩) પાટ (૨૪) સૂર્ય (૨૫) ચંદ્ર (૨૬) વીર (૨૭) સાખીયા

    આમ માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સત્ય સનાતન ધર્મની ધારાને અનુસરીને, તેને આવરીને શ્રી રામદેવપીર બાપાના દેવળનું નિર્માણ થયું. શ્રી રામદેવપીર બાપાની આજ્ઞા મેળવીને તેમાં અનંત અકળ કળાઓનો સમન્વય કરવામાં આવ્યો છે કે જેની જ્ઞાની કે અનુભવીને જ ગમ પડી શકે છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજના સાનિધ્યમાં, તેમની દેખરેખ અને માર્ગદર્શન નીચે તેમના હસ્તક આ અતિ દિવ્ય, રમણીય અને કલાત્મક બાવનગજના ગજપીઠ શ્રી રામદેવપીર બાપાના દેવળનું નિર્માણ થયું છે તેમાં ચારે જુગનું ધર્મનું અનુસંધાન સંકળાયેલું છે. દેવળ માટે કોઈ ફંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવ્યું. શ્રી રામદેવપીરના વચનનો પ્રતાપ છે.

    આ દિવ્યદેવળ જ્યારે પૂર્ણતાના આરે હતું ત્યારે દેવળમાં બીરાજીત થનાર રણુજાના રાય પીર રામદેવજી મહારાજની મૂર્તિ રાજસ્થાનના જયપુર શહેરમાં બનાવવાનું નક્કી થયું. પીર રામદેવજી મહારાજના અહીં કાયમી બેસવાના વચન અનુસાર તેમની આસનવાળી બેઠેલ મૂર્તિ બનાવવાનો નિર્ણય થયો. કબીર સાહેબનું જે રીતે આસન છે તેવા આસનવાળી મૂર્તિ બનાવવાનું સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે નક્કી કર્યું. એ આસનમાં કરામત અને રહસ્ય સમાયેલું છે. અનુભવી પુરુષો એનો ખ્યાલ મેળવી શકે.

    શ્રી બળદેવદાસ મહારાજે શ્રી રામદેવ પીર બાપાની આરસની મૂર્તિ ઉપરાંત અન્ય આઠ મૂર્તિઓની સ્થાપના કરવાનું સૂચન કર્યું. એ મૂર્તિઓના નામ નીચે પ્રમાણે છે :

    (૧) હરજી ભાટી (૨) ડાલીબાઈ (૩) સગુણાબેન (૪) ભાણેજ ગગુભા (૫) ગણપતિ (૬) ગરુડજી (૭) કાળભૈરવ (૮) હનુમાનજી

    જયપુરમાં તૈયાર થયેલી મૂર્તિઓની પધરામણી પીપળીમાં થઈ. સમગ્ર પીપળી ગામમાં એ મૂર્તિઓની શોભાયાત્રા નીકળી. સમગ્ર ગ્રામજનો તથા સેવકો અને દર્શનાર્થીઓ તેમાં આનંદ ઉલ્લાસપૂર્વક જોડાયા. બેન્ડવાજા, ઢોલ, અબીલ, ગુલાલ, સુગંધીત પુષ્પો દ્વારા ભક્તિસભર માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થતા મૂર્તિઓ મંદિરના પ્રાંગણમાં દાખલ થઈ અને નકલંક આશ્રમમાં વિશ્રામ કર્યો.

  9. પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ તૈયારી

    હવે દેવળના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સમસ્ત પીપળીના ગ્રામજનોને આ મહાપર્વમાં સહકાર દ્વારા સાંકળીને સેવાનો લ્હાવ આપવાનું નક્કી કર્યું. એ અનુસાર તા. ૧૪-૧-૧૯૯૮ના રોજ ઉનરાયણની રાત્રે મુસ્લિમ, પટેલ, ભરવાડ, સાધુ-સંત, હરિજન એમ હરેક કોમના અગ્રણી નાગરિકોની મંદિરમાં બેઠક ગોઠવી સભાનું આયોજન કર્યું. તેમાં તેમણે આયોજનની રૂપરેખા અને જરૂરી કાર્યવાહીનો સંકેત આપી ગ્રામજનોને શોભા આપતું મનનીય સંબોધન કર્યું. સમગ્ર ગ્રામજનોએ પોતાના આંગણે આવા મહાઉત્સવના પ્રસંગે સંમિલિત થઈ સહકાર આપી પોતાની ફરજ અદા કરવાનો એકી અવાજે નિર્ણય કર્યો.

    પીપળીના ગ્રામજનોને આ સંબોધન બાદ દશ દિવસે પીપળીમાં મૂર્તિઓનો પ્રવેશ થયો હતો. મૂર્તિઓનું આગમન થતા સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે પ્રતિષ્ઠાના સમયની તારીખો જાહેર કરી. તેમણે વિક્રમ સંવત ૨૦૫૪ના ચૈત્ર વદ ચોથ, પાંચમ, છઠને ગુરુવાર, શુક્રવાર અને શનિવારનો સમય નિર્ધારિત કર્યો. એટલે કે ઈ.સ. ૧૯૯૮ના એપ્રિલ માસની તા. ૧૬, ૧૭ અને ૧૮ નો સમય જાહેર કર્યો. એમાં ચૈત્ર વદ પાંચમ તા. ૧૭-૪-૯૮ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાદિન નક્કી કર્યો.

    લાખોની જનમેદનીને આવરી લેતા વિશાળ આયોજન માટે સમય ખૂબ ઓછો હતો. સૌને ચિંતા થતી હતી. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સૌને હિંમત, આશ્વાસન અને પ્રેરણા આપી માર્ગદર્શન આપ્યું.

    તેમની પ્રેરણાથી પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આરંભાઈ. આ માટે "શ્રી રામદેવપીર બાપા મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ" રચાઈ. તેમાં કૌટુંબિક સભ્યોનો સમાવેશ કરી તેમને અલગ અલગ કામગીરી સોંપાઈ. તેમાં સર્વશ્રી (૧) શ્રી મહાદેવભાઈ (પૂજારી બાપુ) (૨) શ્રી શંકરભાઈ (દાદા) (૩) શ્રી વાસુદેવ મહારાજ (૪) શ્રી પ્રવીણ મહારાજ (૫) શ્રી ઈશ્વર મહારાજ (૬) શ્રી દલસુખ મહારાજ (૭) શ્રી મનુ મહારાજ (૮) શ્રી ગોવિંદ મહારાજ (૯) શ્રી નરસિંહ મહારાજ તથા (૧૦) શ્રી પ્રકાશ મહારાજ એ સર્વેની આગેવાની નીચે સેવક સમુદાય જોડાયો.

    પ્રતિષ્ઠા પર્વની તમામે તમામ ઝીણી ઝીણી બાબતો અને પાસાઓ વિચારી આયોજન ગોઠવાયું. નકશો તૈયાર થયો. શ્રી બળદેવદાસ મહારાજના સાંનિધ્યમાં ટૂંકા સમયગાળામાં જ જબરદસ્ત આયોજન આરંભાયું. સેવા માટે સેવક સમુદાય તન-મન-ધનથી કાર્યવાહીમાં જોડાયો. વિશાળ પ્રમાણમાં જમીનને આવરીને વિવિધ વિભાગો માટેની તૈયારીઓ શરૂ થઈ.

    વિશાળ ભોજનગૃહ, સભામંડપ, સંતો મહંતોના ઉતારા, યજ્ઞ મંડપ માટેની વ્યવસ્થા, તેમાં ભાગ લેનાર યજમાનોની અલગ વ્યવસ્થા, અભ્યાગત સાધુઓની વ્યવસ્થા, વાહન પાર્કિંગની વ્યવસ્થા, પાણી અને ચા-કૉફીની વ્યવસ્થા, સરકારી ઑફિસો માટે જગ્યાનું અને મંડપનું આયોજન, આનંદમેળાની વ્યવસ્થા, સ્વયંસેવકો અને સેવક સમુદાયના ઉતારાની વ્યવસ્થા, પૂછપરછ વિભાગ, પુસ્તકો અને ફોટાઓનો વિભાગ એમ હરેક પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ. આ માટે મંડપનું વિશાળ આયોજન ગોઠવાયું. હરેક મંડપોમાં ઇન્ટરકોમ ફોન અને વોકીટોકીની વ્યવસ્થા ગોઠવાઈ. પ્રસંગના ટી.વી. પ્રસારણ માટે ઠેકઠેકાણે ટી.વી. કેમેરાનું આયોજન ગોઠવાયું. ચોવીસે કલાક લાઈટ માટે વિશાળ શક્તિશાળી જનરેટરો હતા. ઈન્દોરવાળાની રંગીન રોશનીનું આયોજન થયું હતું.

    આ પ્રસંગે આમંત્રણપત્રિકા દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય પ્રદેશોમાં સંતો મહંતોને રૂબરૂ જઈ આમંત્રણ અપાયા. વિવિધ ગામો અને શહેરોમાં જાહેર આમંત્રણ પત્રિકાઓ અને બેનરો લગાવવામાં આવ્યા. પીંપળીને જોડતા રસ્તાઓ પર સ્વાગત કમાનો ખડી કરવામાં આવી.

    શ્રી રામદેવપીર બાપાના આ મોંઘેરા મહોત્સવ માટે સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે ભોજન અને ઠંડા પાણીની વ્યવસ્થા ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. સવારના નવથી રાતના લગભગ ત્રણ વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા ત્રણે દિવસ ગોઠવાઈ હતી.

    પ્રસંગના આમંત્રણને માન આપી પ્રસંગમાં સહાયભૂત થઈ પોતાની ફરજ અદા કરવા સંતો-મહંતો પ્રસંગ અગાઉથી આવવા લાગ્યા. પણ સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે સંતો મહંતોને પ્રસંગની જવાબદારીમાંથી મુક્ત રાખ્યા હતા.

  10. દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ

    "પીપળીએ પીરૂના બેસણા"નો સમય આવી ગયો. પ્રતિષ્ઠા મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ હતી. ચારે દિશામાંથી પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગનો લાભ લેવા વિશાળ ભક્ત સમુદાય અને દર્શનાર્થીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો. "શ્રી રામદેવપીર બાપા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ" દ્વારા અનેકવિધ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું હતું.

    પર્વનો મંગલ પ્રારંભ વિષ્ણુ મહાયજ્ઞ દ્વારા થયો હતો. ચારે વેદની સંપૂર્ણ માનમર્યાદા સહિત શ્રી સવારામ સાહેબની નીરગુણ-શીરગુણની ધારાની સમાનતાને અનુલક્ષીને વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન થયું હતું. તેમાં ગુજરાત ઉપરાંત પરપ્રાંતના યુગલોએ પણ યજમાન તરીકેનો લ્હાવ લીધો હતો. આ સાથે ત્રિદિવસીય શ્રી રામદેવ અખંડ ધૂનનો પ્રારંભ થયો. ત્યાર બાદ ધર્મસભાના કાર્યક્રમનો પ્રારંભ થયો. વિશાળ સભામંડપમાં સુશોભિત મંચ પર વિશાળ સંખ્યામાં સંતો મહંતો શોભી રહ્યા હતા. સભામંચની બરાબર મધ્યમાં શ્રી બળદેવદાસ મહારાજ સિંહાસન પર બિરાજિત થઈ વિશિષ્ટ પ્રતિભા ઉપસાવતા હતા. સર્વ સંતો મહંતોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. પ્રસંગને અનુરૂપ સંતો-મહંતોએ વિશાળ જનસમુદાયને ઉદ્બોધન કર્યું. સભામંડપની શોભા મનોહર હતી. ભજન-સત્સંગનો કાર્યક્રમ પણ સતત ચાલુ હતો. નામાંકિત ભજનીક કલાકારોનો કંઠ રેલાઈ રહ્યો હતો. ચારે તરફ આનંદ ઉલ્લાસ ઉત્સાહ વર્તાતો હતો. જનસમુદાય ભજન, ભોજન અને સત્સંગનો લ્હાવ લઈ રહ્યો હતો. સનાતન ધર્મની ધારાને અનુરૂપ હરેક સંપ્રદાયના સંતોના દર્શન સુલભ બન્યા હતા. જીવનના અણમોલ અને યાદગાર પ્રસંગનો પ્રારંભ થયો. રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર અલૌકિક દેવભૂમિ સમો લાગતો હતો. લોકો સ્વર્ગની ભૂમિ પર હોવાનો અહેસાસ અનુભવતા હતા. દૂર દૂરથી રાત્રે દેખાતી રંગબેરંગી રોશની સૌના મન હરી લેતી હતી. આમ અનેકવિધ કાર્યક્રમો દ્વારા મંગલપર્વનો મંગલ પ્રારંભ થયો.

    મંગલપર્વનો બીજો દિવસ પ્રતિષ્ઠા દિન હતો. આ સમયે હરેક જગ્યાના નામાંકિત સંતો મહંતો પધાર્યા. જૂનાગઢના શ્રી શેરનાથ બાપુ તો હરદ્વાર ખાતે કુંભમેળામાં ભાગ લઈ સીધા જ પીપળી ધામ પધાર્યા હતા. આ દિવસે લાખો ભાવિકો એકત્ર થયા. સૌના હૃદયમાં પ્રસંગનો ઉમાવો હતો. પ્રતિષ્ઠાનો સમય સવારે સવા નવનો રખાયો હતો. શ્રી રામદેવજી મહારાજની ઇચ્છા શ્રી બળદેવદાસ મહારાજના શુભ હસ્તે બિરાજીત થવાની હતી. આથી એ દિવસે વહેલી સવારે સવા છ વાગ્યે શ્રી બળદેવદાસ મહારાજે દેવળમાં જઈ કંઈક મંગલવિધિ કરી.

    ત્યાર બાદ બરાબર સવા નવ વાગ્યે સંતો-મહંતો, પીર, ફકીર, ઓલીયા, ગેબી, પ્રગટ, પ્રેરીક મહાપુરુષો જતી-સતી, દેવી-દેવતાઓ અને ભાવિક ભક્તોની હાજરી વચ્ચે સતત વિવિધ જયનાદ દ્વારા શ્રી રામદેવપીર બાપાની ઇચ્છાનુસાર શ્રી બળદેવદાસ મહારાજના શુભ સ્વ-હસ્તે અનંત બ્રહ્માંડોના નાથ, ચેતનબ્રહ્મ રણુજાના રાય પીર રામદેવજી મહારાજની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. શંખનાદ, ઘંટનાદ, ઝાલર અને નગારાના દિવ્ય સંગીત વચ્ચે આરતી-પૂજન થયું. ધૂપ દીપ અને અત્તરથી હવા સુગંધિત અને વિશુદ્ધ બની. આ સાથે અન્ય આઠ મૂર્તિઓની પણ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી.

    આકાશની મુક્ત હવામાં બાવન ગજના દેવળ ઉપર બાવન ગજનો લીલુડો નેજો ફરકાવવામાં આવ્યો. આ સમયે આકાશમાંથી પુષ્પક વિમાન દ્વારા સુગંધિત પુષ્પોની વૃષ્ટિ થઈ. લગભગ એક કલાક સુધી શ્રી રામદેવપીર બાપાના દેવળ ઉપર અને સમગ્ર જનમેદની પર પુષ્પવૃષ્ટિ થતી રહી. ભાવિકો એ પુષ્પોને યાદગીરી રૂપે પણ લઈ ગયા. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે અગાઉ કહેલું કે "પીર રામદેવજી પોકરણગઢમાં પધાર્યા તે વખતે જે ઠાઠ હતો તેથી અધિક ઠાઠ જોવા મળશે." અને બન્યું પણ એમ જ. દર્શન માટે લોકધસારો પ્રબળ હતો છતાં શ્રી રામદેવપીર બાપાની કૃપાથી ક્યાંય પણ અવ્યવસ્થા કે અંધાધૂંધી સર્જાયા નહીં. પોલીસતંત્રને કોઈ પણ પ્રકારે બળપ્રયોગ કરવો ન પડ્યો અને બધુ હેમખેમ સચવાઈ રહ્યું.

    વિષ્ણુ મહાયજ્ઞ, ધર્મસભા, ભજન-સત્સંગ, અખંડ રામદેવ ધૂન વગેરે તો ત્રણે દિવસ ચાલુ હતા.

    ત્રીજો દિવસ એ પ્રસંગની પૂર્ણાહૂતિનો દિવસ હતો. આ સમયે ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત રાજદ્વારી પુરુષો પણ પધાર્યા હતા. આ મહોત્સવમાં પધારેલા જગ્યાધારી સંતો-મહંતો તથા અન્ય સાધુ સંત ફકીર ઓલીયા વગેરેને ધર્મની પ્રણાલી અનુસાર શાલ અર્પણ કરી ભેટપૂજાનો વિવેક કરવામાં આવ્યો હતો. એ સિવાય અન્ય હજારો અભ્યાગત સાધુઓને પણ ભેટપૂજાનો વિવેક કરવામાં આવ્યો હતો.

    પ્રતિષ્ઠા મહોત્સવની સમાપ્તિ બાદ શ્રી બળદેવદાસ મહારાજની આજ્ઞા અનુસાર કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના દૂર દૂરના ગામોમાં બુંદી અને ગાંઠીયાનો પ્રસાદ વહેંચાયો. આ ઉપરાંત પીપળીધામ પાસેના રાજ્યના ઘોરી માર્ગ પરથી પસાર થતા દરેક પ્રકારના વાહનો દ્વારા પ્રસાદ વહેંચાયો. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યોમાં પણ ટ્રકો દ્વારા પ્રસાદ પહોંચ્યો. આ પ્રક્રિયા ઘણો સમય ચાલુ રહી.

    આમ માત્ર ત્રણ વર્ષના ગાળામાં બનેલ બાવન ગજના દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ શાહી દિવ્ય ઠાઠમાઠથી પરિપૂર્ણ સફળતાપૂર્વક ઉજવાયો. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે આ પ્રસંગ માટે પાણીની જરૂરિયાતને અનુલક્ષીને અગમચેતી રૂપે દેવળના બાંધકામ અગાઉ બજાણા ગામે પાણીનો બોર પણ બનાવેલો.

  11. શ્રી રામદેવપીરના વિસામાના દેવળનો પ્રતિષ્ઠા મહોત્સવ

    શ્રી રામદેવપીર બાપાના બાવન ગજના દેવળના પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શ્રી બળદેવદાસ મહારાજના હસ્તક "શ્રી રામદેવપીર બાપાનો વિસામો" નામના સ્થળે શ્રી રામદેવપીર બાપાની ઘોડેસવાર મૂર્તિનું દેવળ બન્યું છે. અહીં પણ વિષ્ણુ મહાયજ્ઞના મંત્રોચ્ચાર વચ્ચે દેવળનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ વિ.સં. ૨૦૫૬ના ફાગણ સુદ-૭ ને રવિવાર તા. ૧૨-૩-૨૦૦૦ના રોજ સાધુ સંતો-મહંતો અને વિશાળ ભાવિક જનસમુદાયના જય જયકાર વચ્ચે ઉજવાયો હતો. આ સમયે વિમાન દ્વારા આકાશી પુષ્પવર્ષા થઈ હતી. બપોરનો સવા વાગ્યાનો આ સમય હતો. અતિ આનંદ અને પ્રેમથી હરેકે ભજન-સત્સંગ, દર્શન અને પ્રસાદનો લ્હાવ લીધો હતો. પધારેલ સાધુ-સંતો અને મહંતોને ભેટપૂજાનો વિવેક કરવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત વિસામાના આ સ્થળે એક પૌરાણિક શિવાલયના અવશેષ હતા. સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજે એ શિવાલયનો પુનરુદ્ધાર કરી પુનઃ નિર્માણ કર્યું અને રૂદ્રયાગ દ્વારા તેની પ્રતિષ્ઠાવિધિ થઈ. આ વિસામાના સ્થળે ગૌશાળા અને 'રામા સરોવર'નું પણ તેઓશ્રીના હસ્તે નિર્માણ થયું છે.

    આ ઉપરાંત ભૈરવા રાક્ષસનો ત્રાસ દૂર કરવા પોકરણગઢમાં પધારેલા શ્રી રામદેવજી મહારાજે ભૈરવાને ગુફામાં ભંડારી દીધો હતો. એ ભૈરવનાથની ગુફા પણ અહીં પીપળીધામમાં તેઓશ્રીના હસ્તક બની છે. એ ભૈરવનાથની મૂર્તિની સ્થાપના સમયે ભૈરવનાથ પ્રગટ થયા હતા. એ સિવાય અહીં પીપળી ધામમાં શ્રી શેષનારાયણ ભગવાનનું મંદિર, સદ્‌ગુરુ શ્રી સવારામ આશ્રમ, શ્રી ઝબુબાઈ આશ્રમ, શ્રી નકલંક આશ્રમ (એમાં નકલંક ભગવાનનું સ્થાન છે), વિશાળ ભોજનશાળા વગેરે પણ શ્રી બળદેવદાસ મહારાજના હસ્તક બન્યા છે. સમય, સંજોગો અને જરૂરિયાત અનુસાર તેમાં ફેરફાર પણ થતા રહે છે.

  12. સંકેત સાથે સમાપન

    આમ ભક્તરાજ શ્રી બળદેવદાસ મહારાજના આગમનનો કારણ-કાર્યનો સંકેત એમની અનેકવિધ કાર્યવાહીમાં અનુભવી શકાય છે. શ્રી સવારામ સાહેબના સમયમાં માત્ર શ્રી દ્વારકાધીશ રામદેવપીર મંદિર હતું. ત્યારબાદ ઉપરની સર્વ કાર્યવાહી સદ્‌ગુરુશ્રી બળદેવદાસ મહારાજ હસ્તક બની છે. વિશ્વમાં આજસુધી કોઈ એક સાધારણ આર્થિક સ્થિતિના પુરુષે પોતાની પ્રાગટ્ય ભૂમિ પર ન સર્જાવ્યું હોય એવું અલૌકિક દિવ્ય સર્જન તેઓશ્રીના હસ્તક સર્જાયું છે. ગુરૂવાઈ પદ, પીરાણું અને શક્તિ એમ અહીંના ત્રણ સ્તંભો સાથે અનેક ગેબી શક્તિઓનું સંકલન થયું છે. એ ત્રણેનું અનુસંધાન અને સમન્વય સદ્‌ગુરુશ્રી બળદેવદાસ મહારાજ સાથે સંકળાયેલ છે. અહીં ભક્તિ, જ્ઞાન અને કર્મનો સુભગ સમન્વય થયો છે.

    સદ્‌ગુરુ પદમાં સંપૂર્ણ પીરાઈ રહેલી છે. એ જ પીર છે. એ જ નકલંક છે. નકલંક એટલે કલંક રહિત. નકલંકને નકલંક સાહેબ કહી શકાય. નિર્વિકારી પદ એ નકલંક છે. નકલંક એટલે અમર પુરુષ યા સતપુરુષ. હવે સંતોના મતે નકલંક અવતારની ઈન્સાફી કાર્યવાહીનો સમય છે. સત્ય સનાતન ધર્મના અનુસંધાને એ અવિનાશી દશમા અવતારની કાર્યવાહીનો સંકેત મહાપુરુષોની વાણી દ્વારા મળે છે. પરમાત્માને આરાધવાનો સમય છે. કદાચ વિપરીત સમય સંજોગમાં તેનાથી બચાવ છે.

    આજે તો પીપળી ધામની ગાદી પર ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ બિરાજમાન છે. બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુશ્રી બળદેવદાસ મહારાજે વિક્રમ સંવત ૨૦૫૯ના માગશર સુદ ૧૩, મંગળવાર, તા. ૧૭-૧૨-૨૦૦૨ના દિવસે પોતાના નાશવંત પણ પવિત્ર પાર્થિવ દેહનો ત્યાગ કર્યો.

    ત્યારપછી તેમના મોટા સુપુત્ર અને શિષ્ય એવા શ્રી વાસુદેવ મહારાજને સદ્‌ગુરુ શ્રી બળદેવદાસ મહારાજની ઈચ્છાનુસાર અને શ્રી રામદેવજી મહારાજ તથા સાહેબની કૃપા દ્વારા સંતો, મહંતોના આશીર્વાદથી અને પોતાના પરિવારની સર્વ સંમતિથી ૪૪ વર્ષની ઉંમરે ગુરૂગાદી પર બિરાજિત કરવામાં આવ્યા. હવે તેઓશ્રી હસ્તક પીપળીધામની વિકાસ પ્રક્રિયા વેગીલી બની સવાઈ બની રહી છે. પીપળીધામની સુવાસ અને કીર્તિ વધુને વધુ પ્રસરી રહી છે. ધર્મક્ષેત્ર તરીકે તે ઊભરી રહ્યું છે. તેઓશ્રીએ આજે ધર્મક્ષેત્રે ધર્મસભાઓમાં પોતાની આગવી શૈલી અને આધ્યાત્મિક જ્ઞાનધારા થકી અને પોતાના વર્તમાન થકી એક વિશિષ્ટ અને આગવી પ્રતિભા ઉપસાવી છે તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ સૌને આકર્ષે છે.

    તેઓશ્રીની કાર્યવાહીમાં તેમનો સમગ્ર પરિવાર સંકળાઈ ગયો છે. શ્રી પૂજારી બાપુ (શ્રી મહાદેવભાઈ) તથા તેમના સુપુત્રો શ્રી ઈશ્વર મહારાજ (મુખી) તેમજ શ્રી મનુ મહારાજ તથા શ્રી શંકરભાઈ (દાદા) અને તેમના ત્રણે સુપુત્રો શ્રી ગોવિંદ મહારાજ, શ્રી નરસિંહ મહારાજ તથા શ્રી પ્રકાશ મહારાજ. ઉપરાંત શ્રી પ્રવિણ મહારાજ (તેઓ હવે સતલોક સિધાવ્યા છે.) તથા તેમના સુપુત્ર શ્રી ગૌતમ મહારાજ અને સદ્‌ગુરૂ શ્રી વાસુદેવ મહારાજના સુપુત્ર શ્રી ભૂપેન્દ્ર મહારાજ એમ સર્વ અહીંની કાર્યવાહીના ભાગીદાર બનીને એને વેગીલી બનાવીને સક્રિય રીતે સેવાકીય કાર્યવાહી દ્વારા સદ્‌ગુરૂશ્રી વાસુદેવ મહારાજની આજ્ઞા અને આદેશનું પાલન કરીને સંગીન સાથ નિભાવી રહ્યા છે. સાથોસાથ કૌટુંબિક એકતાનું જ્વલંત પ્રતિક બનીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આવો પરિવાર વંદનીય બની જાય છે.

    અંતમાં, સદ્‌ગુરૂશ્રી વાસુદેવ મહારાજ અને રામદેવજી મહારાજના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ કરીને અને આવા દૈવી પરિવારને વંદન કરીને વિરમું છું.

શ્રી સદ્‌ગુરૂ દેવ કી જય શ્રી રામદેવજી મહારાજ કી જય