પ્રાગટ્ય અને ભજનપ્રેમ
માતુશ્રી છે કાશીમા પિતા કૃષ્ન મુજ તાત સ્વામી ફુલગરજી સદ્ગુરુ સદા સવો નીજ દાસ
સનાતન ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે ભારતની પવિત્ર ભૂમિ પ્રથમથી જ અગ્રેસર રહી છે. સત્ય સનાતન ધર્મની સ્થાપના ભારતભૂમિમાં થઈ છે. અવતારી પુરુષો આ ભૂમિ પર પ્રગટ્યા છે. મહાપુરુષો આ ભૂમિ પર પધાર્યા છે. મહાન ઋષિમુનિઓ, સિદ્ધ સાધક યોગી, ધ્યાની પીર ફકીર, ઓલીયા જતી સતી ભક્તો વગેરે ભારતભૂમિ પર જેટલા પ્રકાશ્યા છે એટલા વિશ્વના અન્ય કોઈ દેશમાં પ્રકાશ્યા નથી. ભારતની ભૂમિ પર મનુષ્ય જન્મનો અવસર પ્રાપ્ત થવો એ પણ સદ્ભાગ્ય છે. સાચા સંતપુરુષોનો સંગ થતા એ સદ્ભાગ્ય ખીલી ઉઠે છે.
આવી પાવનભૂમિ ભારતદેશમાં સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ ગણાય છે. આવા સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકનું પીપળીધામ આજે ભાવિકોનું દર્શનીય પવિત્રધામ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ પીપળીધામમાં અનંત બ્રહ્માંડોના નાથ, રણુજાના રાય પીર રામદેવજી મહારાજ પધાર્યા છે. તેમની સાથે શ્રી સવારામ સાહેબનું અનુસંધાન સંકળાયેલું છે.
પીપળીગામ એ શ્રી સવારામ સાહેબની પ્રાગટ્યભૂમિ છે. વિક્રમ સંવત ૧૯૧૭ને મહા સુદ ૧૫ના રોજ તેમનું પ્રાગટ્ય થયું. તેઓ પ્રજાપતિ કુળમાં પ્રગટ્યા છે. તેમના પિતાશ્રીનું નામ શ્રી કરશનદાસ અને માતુશ્રીનું નામ શ્રી કાશીમા હતું. તેઓ બંને ખૂબ સંસ્કારી, સંતપ્રેમી અને ભક્તિવાન હતા. તેઓ પોતાનો વંશપરંપરાગત માટીકામનો વાસણ ઘડવાનો વ્યવસાય કરીને પરમાત્માની કૃપાથી પ્રભુભજન કરતા કરતા પોતાનો જીવનનિર્વાહ ચલાવતા હતા.
શ્રી સવારામ સાહેબે બચપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી એટલે કે શ્રી કરશનદાસ સતલોક સીધાવ્યા હતા. આથી બચપણથી જ ઘરની આર્થિક જવાબદારીનો બોજ તેમના પર આવી પડતા તેઓ માંડ માંડ ગુજરાતી એક બે ધોરણ ભણી શક્યા.
યોગ્ય ઉંમર થતા તેઓશ્રીના શુભલગ્ન સુસંસ્કારી શ્રી યમુનાબાઈ (જમનામા) સાથે થયા. તેમને શ્રી નાનજીભાઈ અને શ્રી હરજીવનદાસ નામના બે સુપુત્રો થયા.
શ્રી સવારામ બાપા ભીતરથી કોઈ સાધારણ પુરુષ ન હતા. તેઓ જગતના જીવોને ચેતાવવા માટે પધાર્યા હતા. વાસ્તવમાં તેઓ સાહેબનું સ્વરૂપ હતા.
આથી ઉગતી યુવાનીમાં જ તેમને ભજનપ્રેમનો રંગ લાગ્યો હતો. ભજન-સત્સંગ પ્રત્યે અનહદ પ્રીતિ જાગી. ભજનના ભાવ અને આનંદમાં ઘણી વાર તેમને ખાવા પીવાનો પણ ખ્યાલ રહેતો નહીં. જ્યાં જ્યાં ભજન હોય, ઠાકરથાળી હોય ત્યાં ત્યાં તેમને વાયક મળતા અને તેઓ ત્યાં જતા. તેમને પણ ભજન ગાવાની લગની લાગવાથી તેઓ સૌ પ્રથમ ‘‘હે જાડેજા કરી લ્યો કમાણી થોડા જીવણા રે’’ નામનું તોરલ દે નું ભજન ગાતા શીખ્યા. આમ પોતાના માટીકામના વ્યવસાયની સાથોસાથ ભજન સત્સંગ અને સાધુસંતો પર અપાર પ્રેમ અને ભાવ દાખવતા હતા.
મહાપુરુષો અને સંતોના તથા શાસ્ત્રોના મતાનુસાર ગુરુ વિના જ્ઞાન મળતું નથી અને નુગરા માણસોનું કોઈ મહત્ત્વ નથી. શ્રી સવારામ સાહેબના ગુરુનું નામ સ્વામી ફુલગરજી મહારાજ હતું. તેઓ ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામના દશનામી અતીત સાધુ હતાં. તેમણે શ્રી સવારામ સાહેબને નામ ભજનનો મહિમા સમજાવતા કહેલું કે આ નામભજનના પ્રતાપે આગળ ઉપર સર્વ કાંઈ તને આપમેળે આવી મળશે.
આ પછી તો શ્રી સવારામ સાહેબને ભજન સત્સંગ અને સાધુસંતો પ્રત્યે એટલો પ્રેમ જાગ્યો કે તેઓને ઘણીવાર પોતાના ધંધા પ્રત્યેનો પણ ખ્યાલ રહેતો નહીં. આથી તેમના માતુશ્રી કાશીમા તેમને અવારનવાર ઠપકો પણ આપે છતાં તેઓ તે શાંતિથી સાંભળી લેતા અને માતુશ્રીને વિવેકયુક્ત જ્ઞાનસભર જવાબ આપતા.